મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીમાં સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા અને કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના સહકારથી સમૃદ્ધિ પરિસંવાદમાં સહભાગી બન્યાં હતાં. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. -અમર ડેરી, અમરેલી જિલ્લા સહકારી સંઘ, અમરેલી જિલ્લા સરકારી ખરીદ વેચાણ સંઘ લી. સહિતની સહકારી સંસ્થાઓ આ અવસરે જોડાઈ હતી.
દૂધ સહકારી મંડળીઓ દ્વારા આઝાદીના આંદોલનને નવી દીશા આપી હતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાની સહકારી સંસ્થાઓ ની વાર્ષિક સાધારણ સભાની સહકારથી સમૃઘ્ઘિને સાકાર કરતો અવસર કહેતા જણાવ્યું હતું કે, સ્વતંત્ર સંગ્રામમાં ગુજરાતના બે પનોતા પુત્ર પુજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. સ્વતંત્રતાની ચળવળે સહકારી પ્રવૃતિને વેગ આપવાનું કાર્ય કર્યું છે. ગાંધીજીએ ગ્રામ સ્વરાજ અને સરદાર પટેલે ખેડૂતોને એકજૂટ કરીને દૂધ સહકારી મંડળીઓ દ્વારા આઝાદીના આંદોલનને નવી દીશા આપી હતી.
સૌરાષ્ટ્રમાં સહાકરી ક્ષેત્રના વિકાસથી ખેડૂત, ખેતી, મહિલા અને ગામડાઓ સક્ષમ બન્યા
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાને સહકારીતાની આપણી મુળ ભાવનાને બદલાતા સમય સાથે સુસંગત રાખીને નવું કલેવર આપવાની દિશા આપી છે. તેમના નેતૃત્વમાં દેશમાં આઝાદીના દાયકાઓ બાદ અલાયદું સહકારી મંત્રાલય શરૂ થયું છે. સૌને સાથે લઈને વિકાસના પથ પર આગળ વઘવાની કટિબધ્ધતાથી સહાકર ક્ષેત્રને નવી દિશા અને ઊર્જા મળી છે. આજે ગુજરાતની સહાકરી સંસ્થાઓ અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બની છે. ત્યારે અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સહાકરી ક્ષેત્રના વિકાસથી ખેડૂત, ખેતી, મહિલા અને ગામડાઓ સક્ષમ બન્યા છે તેનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત આ કાર્યક્રમ છે એમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત મહિલા ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી મહિલાઓને લોન આપીને આત્મનિર્ભર બનાવી રહી છે
મુખ્યમંત્રીએ સહકારી ક્ષેત્રે દિલીપ સંઘાણીએ કરેલી અસરકારક કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, સહકારી સંસ્થાઓ જનકલ્યાણ અને જનસેવાના મંત્ર સાથે કાર્ય કરી રહી છે. અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક વિશ્વાસનું પ્રતિક બન્યું છે. બેંકે ખેડૂતોની ચિંતાની કરીને સૌ પ્રથમ ગ્રામીણ ગ્રુપ અકસ્માત વીમા યોજના શરૂ કરી હતી. વડાપ્રધાને શરૂ કરેલી અટલ પેન્શન યોજનામાં જિલ્લા સહકારી બેંકે છેલ્લાં ૩ વર્ષથી રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યા છે, જે ગર્વની વાત છે. નોંધનીય છે કે, જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘ અમર ડેરી ચલાવીને પશુપાલકોના કલ્યાણ માટે કાર્ય કરી રહી છે જેના થકી આજે ૩૫ હજારથી વઘુ લોકોને રોજગારી મળી રહી છે. ગુજરાત મહિલા ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી મહિલાઓને લોન આપીને આત્મનિર્ભર બનાવી રહી છે, જે વડાપ્રધાનના સ્ત્રી સશ્કિતકરણના વિચારને સાર્થક કરી રહી છે.
વડાપ્રધાનના નેતૃત્વમાં સહકારી મંડળીઓને પ્રાધાન્ય મળ્યું
સૌના સાથ અને સૌના વિકાસ સાથે સહકારીતાની ભાવના ગુજરાતીઓના સ્વભાવ અને સંસ્કારમાં સહજ રીતે વણાયેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રીના દીર્ધ દ્રષ્ટિનો મોટો લાભ ગુજરાતના સહકારી ક્ષેત્રને મળ્યો છે. રાજ્યમાં ૮૯ હજાર સહકારી સંસ્થાઓમાં આશરે ૧ કરોડ ૬૫ લાખ સભાસદો કાર્યરત છે. ગ્રામીણ સ્તર સુધી સહકારી સંઘો અને સંસ્થાઓનું નેટવર્ક વિસ્તર્યું છે. રાજ્યનું સહકારી ક્ષેત્રનું કૂલ ટર્ન ઓવર રૂ. ૪ લાખ કરોડને પાર કરી ચુક્યું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં સહકારી મંડળીઓને મલ્ટીપર્પઝ બનાવવાની સાથે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી ઈકોસિસ્ટમને પણ બદલવામાં આવી રહી છે.
આ તહેવારોમાં દેશમાં જ ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓને ખરીદીએ
વર્ષ ૨૦૪૭ સુધીમાં વડાપ્રધાને "સૌના સાથ અને સૌના સહકાર"થી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને ચરિતાર્થ કરવા આત્મનિર્ભર ભારત માટે દેશવાસીઓને આહ્વાન કર્યું છે. "ચીપ હોય કે શીપ" તેનું ઉત્પાદન ભારતમાં જ થવું જોઈએ તેવી નેમ વડાપ્રધાનશ્રીએ વ્યક્ત કરી છે. આગામી પવિત્ર નવરાત્રી અને દિવાળીના પર્વમાં "વોકલ ફોર લોકલ"ને વેગ આપીને સખી મંડળો દ્વારા બનાવેલી સ્વદેશી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખીએ. આ તહેવારોમાં દેશમાં જ ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓને ખરીદીને સ્વદેશી અપનાવીને સહકારથી સમૃદ્ધિ માટેનો સંકલ્પ સાકાર કરીએ, તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
સહકારી સંસ્થાઓ નફાના બદલે સભાસદોની સુરક્ષા
આ તકે ભારતીય રાષ્ટ્રીય મહાસંઘ - ઇફ્કોના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની નેમમાં ગરીબ, ગામડું, ખેડૂત અને મહિલાનો ઉત્કર્ષ કેન્દ્ર સ્થાને છે, તેમાં સહકારી ક્ષેત્રની પણ મહત્વની ભૂમિકા છે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પણ ગુજરાત ડેરી ક્ષેત્ર ધમધમતું અને અગ્રેસર બન્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ, સહકારી અગ્રણી અને ઉદ્યોગપતિઓના સહકારથી કોરોના કાળમાં ખેડૂતોને વ્યાજ ન ચૂકવવું પડે તે માટેના સામુહિક પ્રયાસોનો ઉલ્લેખ કરતા ખેડૂતોએ લીધેલા ધિરાણ માટે વધુ વ્યાજ ન ભરવું પડે તે માટે કરોડોનું ફંડ એકત્ર કરી ખેડૂતોને મદદરૂપ થયા હતા, તેમને કિસાન ક્રેડિટ કાર્ડ, આકસ્મિક વીમા યોજના, ખેડૂતોને ઘર ખરીદવા માટે લોન વગેરે પહેલરૂપ કામગીરી જણાવી હતી. સહકારી સંસ્થાઓ નફાના બદલે સભાસદોની સુરક્ષા, સમૃદ્ધિ અને સલામતી માટે કામગીરી કરી રહી છે.
પશુપાલન ક્ષેત્રે ટેકનોલોજી અને નવીન બદલાવ દ્વારા દૂધ ઉત્પાદન વધારવા માટેની ભૂમિકા પણ આપી હતી
આ તકે ઈફ્કોના મેનેજીંગ ડિરેક્ટર કે.જે.પટેલએ ઉપસ્થિત સૌ સહકારી મંડળીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકારથી સમૃદ્ધિના સંકલ્પમાં જોડાવવા માટેનું આહ્વાન કરતા કહ્યું હતું કે, સૌરાષ્ટ્રની ધરતી પર સહકારી મંડળીઓ પ્રગતિના પંથ ઉપર મજબૂત રીતે આગળ વધી રહી છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે ઇફ્કો દ્વારા પણ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. આપણા જ ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા જમીન, પાણી અને હવાને પ્રદૂષિત થતી રોકવા માટે નેનો ફર્ટિલાઈઝરનો આવિષ્કાર પણ કરવામાં આવ્યું છે. ખેતીમાં તેની સાચી રીત અને સાચી પધ્ધતિથી ઉપયોગ કરવામાં આવે તો તેના અનેક ફાયદાઓ છે. ત્યારે ધરતી માતાની ફળદ્રુપતા વધારીને સહકારથી સમૃદ્ધિ તરફ આગળ વધીએ. અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયાએ શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાની સહકારી ક્ષેત્રે હંમેશા આગવી દ્રષ્ટિ રહી છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે શ્રી દિલીપભાઈ સંઘાણીએ ડેરી ક્ષેત્રના વિકાસમાં રહેલા અવરોધોને દૂર કરીને સૌરાષ્ટ્રને શ્વેત ક્રાંતિ તરફ અગ્રેસર બનાવ્યું હતું. તેમણે પશુપાલન ક્ષેત્રે ટેકનોલોજી અને નવીન બદલાવ દ્વારા દૂધ ઉત્પાદન વધારવા માટેની ભૂમિકા પણ આપી હતી.
સાધારણ સભામાં ઉપસ્થિત થયા પૂર્વે વૃક્ષારોપણ કરીને સભાસદોને છોડનું વિતરણ કર્યું હતું
આ પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના લાભાર્થીને રૂ. ૨ લાખ, અને ગ્રામીણ ગ્રુપ આકસ્મિક વીમા યોજનાના લાભાર્થીને રૂ. ૩ લાખનો ચેક વિતરણ ઉપરાંત રાંદલ દડવા સેવા સહકારી મંડળીને માઈક્રો એ.ટી.એમ.નું વિતરણ કર્યું હતું. આ વેળાએ મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત ખેત બજાર નિયંત્રણ ચેરમેન બનવા માટે શ્રી જીગ્નેશ પટેલ, ઇન્ટરનેશનલ કો ઓપરેટીવ એલાઇન્સના યુથ કમિટીના ચેરમેન તરીકે ચૂંટવા બદલ હર્ષ મુકેશભાઈ સંઘાણી ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ માત્ર એક જ સહકારી યુનિવર્સિટી હોય તેવા બેન્કિંગ વિભાગના તજજ્ઞ તરીકે જેમની નિમણૂક થઈ છે, તેવા અશોકભાઈ ગોંડલીયાનું વિશેષણ સન્માન કરવામાં આવ્યું હતું. તે જ ઉપક્રમમાં લાંબા સમયથી સહકારી ક્ષેત્રમાં યોગદાન આપતા વડીલશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં ઉપસ્થિત થયા પૂર્વે વૃક્ષારોપણ કરીને સભાસદોને છોડનું વિતરણ કર્યું હતું.
પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય સર્વ મહેશભાઈ કસવાલા, હીરાભાઈ સોલંકી, જે.વી. કાકડીયા, જનકભાઈ તળાવીયા, અમુલના વાઇસ ચેરમેન શ્રી ગોરધનભાઈ પાનેલીયા, ઇફકોના માર્કેટિંગ ડિરેક્ટર યોગેન્દ્ર કુમાર, અગ્રણી અતુલભાઇ કાનાણી, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, સહકાર ક્ષેત્રના અગ્રણી સર્વ ભાવનાબેન ગોંડલીયા, મનીષભાઈ સંઘાણી, અરૂણભાઇ પટેલ, અલ્પાબેન રામાણી, હરજીભાઈ નારોલા સહિતના મહાનુભાવો ઉપરાંત સહકારી સંસ્થાઓના સભાસદો, ખેડૂતો- પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.













