ગીરના જંગલોની શાન ગણાતા સિંહોના સંરક્ષણ માટે વધુ એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે.અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક મૃત હાલતમાં મળી આવેલા સિંહના મોતનું ચોક્કસ કારણ હવે સામે આવ્યું છે.સત્તાવાર રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે સિંહનું મૃત્યુ હડકવા રોગને કારણે થયું હતું.થોડા સમય પહેલા બાબરકોટ રોડ પર એક સિંહની હરકતો અસામાન્ય જોવા મળી હતી.આ સિંહ વાહનચાલકો પર હુમલો કરવાના પ્રયાસો કરતો હોવાથી આસપાસના ગ્રામજનો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.


સિંહનું મોત રેબીઝ વાયરસને કારણે થયાનું સ્પષ્ટ થયું

આક્રમક વર્તણૂકને ધ્યાનમાં લઈને વન વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી સિંહને રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો હતો.ટ્રાન્ક્વિલાઇઝર ગનથી બેભાન કરવાની કામગીરી દરમિયાન જ સિંહે દમ તોડ્યો હતો.સિંહના અસામાન્ય વર્તન અને અચાનક થયેલા મોતને ગંભીરતાથી લઈ વન વિભાગે તુરંત સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા હતા.સાસણ ખાતે થયેલા નિદાન બાદ સિંહનું મોત રેબીઝ વાયરસને કારણે થયાનું સ્પષ્ટ થયું છે.

સિંહોના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે સૂચના

વન્યજીવ નિષ્ણાતોના મતે,સિંહ જેવા જંગલી પ્રાણીમાં હડકવા જોવા મળવો તે અત્યંત દુર્લભ અને ખતરનાક સ્થિતિ છે.સામાન્ય રીતે આ રોગ શ્વાન કે અન્ય પાલતુ પ્રાણીઓમાં જોવા મળે છે પરંતુ હવે તે વન્યજીવોમાં ફેલાતા વન વિભાગની ચિંતા વધી છે.આ ઘટના બાદ જાફરાબાદ રેન્જ સહિત આસપાસના વિસ્તારોમાં વન વિભાગે એલર્ટ જારી કર્યું છે.અન્ય વન્યજીવોના સ્વાસ્થ્ય પર બાજ નજર રાખવા અને સિંહોના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Weather Update: ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ


  • Follow us on: