ગીરના જંગલોની શાન ગણાતા સિંહોના સંરક્ષણ માટે વધુ એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે.અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક મૃત હાલતમાં મળી આવેલા સિંહના મોતનું ચોક્કસ કારણ હવે સામે આવ્યું છે.સત્તાવાર રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે સિંહનું મૃત્યુ હડકવા રોગને કારણે થયું હતું.થોડા સમય પહેલા બાબરકોટ રોડ પર એક સિંહની હરકતો અસામાન્ય જોવા મળી હતી.આ સિંહ વાહનચાલકો પર હુમલો કરવાના પ્રયાસો કરતો હોવાથી આસપાસના ગ્રામજનો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
સિંહનું મોત રેબીઝ વાયરસને કારણે થયાનું સ્પષ્ટ થયું
આક્રમક વર્તણૂકને ધ્યાનમાં લઈને વન વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી સિંહને રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો હતો.ટ્રાન્ક્વિલાઇઝર ગનથી બેભાન કરવાની કામગીરી દરમિયાન જ સિંહે દમ તોડ્યો હતો.સિંહના અસામાન્ય વર્તન અને અચાનક થયેલા મોતને ગંભીરતાથી લઈ વન વિભાગે તુરંત સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા હતા.સાસણ ખાતે થયેલા નિદાન બાદ સિંહનું મોત રેબીઝ વાયરસને કારણે થયાનું સ્પષ્ટ થયું છે.













