અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ભાજપ સંગઠનમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ દ્વારા આજે બગસરા શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. જોકે નવા નિમાયેલા શહેર ઉપપ્રમુખ નીરવ ગોંડલિયા અને મંત્રી મહેશ માંડલિયાએ નામ જાહેર થતાંની સાથે જ સંગઠનમાંથી પોતાના રાજીનામા ધરી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.


રાજીનામા અંગે કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી

આ ઘટનાથી સ્થાનિક ભાજપ કાર્યકરો અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. સામાન્ય રીતે નવા હોદ્દેદારોની નિમણૂક બાદ ઉત્સાહ જોવા મળતો હોય છે ત્યારે આ પ્રકારે તાત્કાલિક રાજીનામા ધરી દેવા પાછળના કારણો અંગે અનેક અટકળો ચાલી રહી છે. નીરવ ગોંડલિયા અને મહેશ માંડલિયાએ શા માટે રાજીનામું આપ્યું તે અંગે કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ આ ઘટનાથી સંગઠનમાં આંતરિક ખેંચતાણ કે નારાજગી હોવાનું અનુમાન લગાવી શકાય છે.

ભાજપના સંગઠનાત્મક માળખા અને કાર્યપદ્ધતિ પર આ ઘટનાની અસર

ભાજપ જેવા સુદ્રઢ સંગઠનમાં નવા નિમાયેલા હોદ્દેદારો દ્વારા આ પ્રકારે રાજીનામા આપી દેવા એ ગંભીર બાબત ગણી શકાય. આ ઘટનાની અસર આગામી સમયમાં બગસરા શહેર ભાજપના સંગઠનાત્મક માળખા અને કાર્યપદ્ધતિ પર કેવી પડશે તે હવે જોવું રહ્યું. જિલ્લા ભાજપ દ્વારા આ રાજીનામા પાછળના કારણો જાણવા અને પરિસ્થિતિને થાળે પાડવા માટે પ્રયાસો હાથ ધરાશે તેવી શક્યતા છે.


  • Follow us on: