જાફરાબાદ બંદર ખાતે ગુજરાત મેરિટાઈમ બોર્ડની સૂચનાને પગલે સિગ્નલ નંબર 3 લગાવી દેવામાં આવ્યું છે. આ સિગ્નલ દરિયાઈ વિસ્તારમાં સંભવિત ખતરા અને હવામાનની ચેતવણી માટે મહત્વપૂર્ણ ગણાય છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ ગાંધીનગરના કંટ્રોલ રૂમ દ્વારા 29 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે 12:42 કલાકે આ સૂચના આપવામાં આવી હતી. સિગ્નલ નંબર 3 લગાવવાનો અર્થ એ છે કે હવામાનમાં પલટો આવવાની સંભાવના છે અને બંદર પર નાના જહાજો અને માછીમારીની બોટોને વિશેષ સાવચેતી રાખવા માટે ચેતવણી આપવામાં આવી છે.
સિગ્નલનું પાલન કરવા અને દરિયાઈ પ્રવૃત્તિઓમાં વિશેષ સાવધાની રાખવા સૂચના
આ સિગ્નલ લગાવવા માટેની તમામ આનુષંગિક વ્યવસ્થા જાફરાબાદ લાઈટ હાઉસ ખાતે કરવામાં આવી છે. બંદર અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે કે તમામ નાવિકો, માછીમારો અને જહાજના કેપ્ટનોને આ સિગ્નલનું પાલન કરવા અને દરિયાઈ પ્રવૃત્તિઓમાં વિશેષ સાવધાની રાખવા સૂચના આપવામાં આવી છે. સિગ્નલ નંબર 3 સામાન્ય રીતે તોફાની પવન, ભારે વરસાદ અથવા અન્ય કોઈ દરિયાઈ ખતરાની આગાહી માટે લગાવાય છે.
દરિયામાં થનારા અકસ્માતોને રોકવામાં મળશે મદદ
આથી આ સિગ્નલનું પાલન કરવું તમામ દરિયાઈ પ્રવાસીઓ અને માછીમારો માટે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ જરૂરી છે. આ પગલાથી દરિયામાં થનારા અકસ્માતોને રોકવામાં મદદ મળશે. જાફરાબાદ બંદર અધિકારી દ્વારા આ માહિતી જાહેર કરીને તમામ સંબંધિત પક્ષોને સમયસર જાણ કરવામાં આવી છે. જેથી કોઈ જાનહાનિ કે નુકસાન ન થાય.