કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિતે દૂધ નગરી આણંદ ખાતે વિશાળ સહકાર સંમેલન યોજાયું હતું.વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા અમિત શાહે સહકારી પ્રવૃત્તિને પીપલ,પેક્સ,પ્લેટફોર્મ, પોલિસી અને પ્રોસ્પેરિટીના પાંચ P સાથે દેશવ્યાપી વિસ્તારવાનું આહવાન કર્યું હતું


આણંદમાં સહકાર સંમેલન સાથે અનેક કાર્યો થઇ રહ્યા છે

અમિત શાહે જણાવ્યું કે,કેન્દ્રીય સહકારિતા મંત્રાલયને ચાર વર્ષ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ૬૦ વર્ષ અને સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષના સુભગ સમન્વય આણંદમાં સહકાર સંમેલન સાથે અનેક કાર્યો થઇ રહ્યા છે. કેન્દ્રીય સહકારિતા મંત્રાલય ચાર વર્ષમાં પાંચ પી (P) આધારે કામ કરી રહ્યું છે. People (જનસેવા કેન્દ્રિત), PACS (પ્રાથમિક સહકારી મંડળીઓનું સશક્તિકરણ), Platform (ડિજિટલ પ્લેટફોર્મ), Policy (નવી નીતિઓ) અને Prosperity (સમાજની સંપન્નતા)ના આધારે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સહકાર પ્રવૃત્તિનો વ્યાપ વિસ્તરી રહ્યો છે.

સરદાર પટેલ સહકારી દૂધ ડેરી ફેડરશનના લોગોનું અનાવરણ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૂલ ડેરીના ચોકલેટ, દૂધ, દહી અને મોઝરેલા ચીજના એક્સટેન્શન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. દેશની દૂધ સહકારી મંડળીઓના રાષ્ટ્રીય સંગઠનનો પાયો પણ આ બન્ને મહાનુભાવોના હસ્તે નંખાયો છે. તેમણે સરદાર પટેલ સહકારી દૂધ ડેરી ફેડરશનનું નોંધણી પત્ર અર્પણ કરી લોગોનું અનાવરણ કર્યું હતું. આ ઉપરાંત કચ્છના રણમાં કામ કરતા અગિયારોને સહકારી પ્રવૃત્તિમાં જોડવાના ઉદ્દાત હેતુંથી શરૂ કરાયેલી કચ્છ મીઠા ઉત્પાદક સહકારી મંડળીનું નોંધણી પત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.

નફો 56 લાખ સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી આ બહેનોના ખાતામાં જશે

તેમણે અમૂલ ડેરીનું ઉદાહરણ આપતાં કહ્યું કે, 36 લાખ ગુજરાતી અને 20 લાખ દેશભરના મળી કુલ 56 લાખ બહેનો પશુપાલન થકી દૂધ ઉત્પાદન દ્વારા 80 હજાર કરોડનું ટર્નઓવર કરે છે.જે આગામી વર્ષે એક લાખ કરોડ થશે. જેનો નફો 56 લાખ સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી આ બહેનોના ખાતામાં જશે. અમિત શાહે સહકારી ક્ષેત્રની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વૈદિક કાળથી સહકારની પરંપરા ચાલે છે. સાથે બેસી જમવાનું, કામ કરવાનું, વિચારવાનું અને સાથે રહેવાની આપણી સહકારી પરંપરાને વડાપ્રધાન મોદીએ 2021માં સહકાર મંત્રાલયની સ્થાપના કરીને કાયદાકીય સ્વરૂપ આપ્યું છે. 8.40 લાખની વધુ મંડળીમાં 31 કરોડ સભાસદો જોડાયેલા છે.આ મંત્રાલયના ચાર વર્ષમાં 60થી વધુ પહેલ કરવામાં આવી છે.


  • Follow us on: