આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં રણપીપળી ગામમાં વીજ કરંટ લાગવાથી એક યુવાન ટ્રેક્ટરચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને ગ્રામજનોમાં વીજ કંપની પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.


હાઈટેન્શન લાઈનનો વાયર તૂટી પડતા અકસ્માત

આ ઘટના ત્યારે બની જ્યારે 29 વર્ષીય હિતેશભાઈ રાજુભાઈ પઢિયાર પોતાનું ટ્રેકટર લઈને જઈ રહ્યા હતા. તે સમયે અચાનક ખેતર નજીકથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનનો વાયર તૂટીને તેમના પર પડ્યો હતો. વીજ વાયરના સીધા સંપર્કમાં આવતા હિતેશભાઈને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

વીજ કંપનીની બેદરકારી સામે સવાલો

આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં વીજ કંપનીની બેદરકારી સામે ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, જૂના અને જર્જરિત વીજ વાયરો બદલવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં વીજ કંપનીએ આ બાબતને ગંભીરતાથી લીધી નહતી. જો વીજ કંપનીએ સમયસર ધ્યાન આપ્યું હોત તો આ યુવાનનો જીવ બચી ગયો હોત. હાલમાં પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કરી છે.


  • Follow us on: