વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યના તમામ બ્રિજનું ચેકિંગ હાથ ધરાયું હતું. ત્યારે સાબરકાંઠાના ભિલોડામાંથી પસાર થતી હાથમતી નદી પર 50 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં છે. આ બ્રિજ પર તાલુકાની મોટાભાગની વસતી અવરજવર કરે છે. આ દરમિયાન તાલુકાના ધારાસભ્ય પી.સી. બરંડાએ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.


ધારાસભ્ય પી.સી. બરંડાને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યાં

આ બ્રિજ પર કોઈપણ સમયે દુર્ઘટના સર્જાય તેમ હોવાથી લોકોમાં ભય ફેલાયો હતો. જેથી તેના પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પ્રતિબંધ હોવા છતાં આ વાહનો બ્રિજ પરથી પસાર થતા હતા. પરંતુ તેમની સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. જો આ બ્રિજ તૂટી પડે તો અનેક નિર્દોષ લોકો તેનો ભોગ બની શકે છે.પરંતુ હવે ભિલોડાના ધારાસભ્ય પી.સી. બરંડાને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યાં છે. તેમણે મંત્રી બનતાની સાથે જ આ બ્રિજ નવો બનાવવા માટેની જાહેરાત કરી હતી.

24 કરોડના ખર્ચે હાથમતી નદી પર બનશે બ્રિજ

રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડાએ ભિલોડાની હાથમતી નદી પર 24 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાની જાહેરાત કરી છે. તેઓ મંત્રી બન્યા બાદ ભિલોડાની મુલાકાતે હતાં. આ દરમિયાન તેમણએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીને બ્રિજ માટેની રકમ મંજૂર કરાવી હોવાનું જણાવ્યું હતું. મંત્રી પી.સી.બરંડાએ બિરસા મુંડા સર્કલથી રેલીમાં જોડાઈને મતદારોનું અભિવાદન ઝીલ્યું હતું.


  • Follow us on: