વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યના તમામ બ્રિજનું ચેકિંગ હાથ ધરાયું હતું. ત્યારે સાબરકાંઠાના ભિલોડામાંથી પસાર થતી હાથમતી નદી પર 50 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં છે. આ બ્રિજ પર તાલુકાની મોટાભાગની વસતી અવરજવર કરે છે. આ દરમિયાન તાલુકાના ધારાસભ્ય પી.સી. બરંડાએ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
ધારાસભ્ય પી.સી. બરંડાને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યાં
આ બ્રિજ પર કોઈપણ સમયે દુર્ઘટના સર્જાય તેમ હોવાથી લોકોમાં ભય ફેલાયો હતો. જેથી તેના પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પ્રતિબંધ હોવા છતાં આ વાહનો બ્રિજ પરથી પસાર થતા હતા. પરંતુ તેમની સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. જો આ બ્રિજ તૂટી પડે તો અનેક નિર્દોષ લોકો તેનો ભોગ બની શકે છે.પરંતુ હવે ભિલોડાના ધારાસભ્ય પી.સી. બરંડાને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યાં છે. તેમણે મંત્રી બનતાની સાથે જ આ બ્રિજ નવો બનાવવા માટેની જાહેરાત કરી હતી.













