બનાસકાંઠા જિલ્લાના પૂર અસરગ્રસ્ત સુઈગામ, ભાભર, થરાદ અને વાવ વિસ્તારોમાં પૂરના પાણી ઓસરતા રાહત કામગીરી વધુ ગતિશીલ બની છે. પૂરથી પ્રભાવિત અને પોતાના ઘર-વખરી ગુમાવનાર પરિવારોને તાત્કાલિક રાહતરૂપે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર, બનાસ ડેરી તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે.
બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારમાં કુલ ૧૮,૦૦૦ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે
જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર, બનાસ ડેરી તથા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓની ટીમો દ્વારા ઘરઆંગણે જઈને અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે. ગુજરાત સરકાર તથા બનાસ ડેરીના સહયોગથી પૂર અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત પેટે ફૂડ પેકેટ કુલ ૩,૬૩,૪૩૩, પાણીની બોટલ કુલ ૩,૯૦,૦૦૦ તથા કુલ ૧૮,૦૦૦ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.













