શક્તિ ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ એવા યાત્રાધામ અંબાજીમાં આગામી તા. ૧-૯-૨૦૨૫ થી તા. ૭-૯-૨૦૨૫ સુધી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ યોજાનાર છે. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા અને શ્રીઆરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના સંયુક્ત ઉપક્રમે ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ દરમિયાન આવનાર યાત્રાળુઓ માટે સુદ્રઢ અને ઉત્તમ વ્યવસ્થાઓ પૂરી પાડવા સુચારુ આયોજન કરવામાં આવેલ છે.
ભીડ નિયંત્રણ જેવી બાબતો પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમારના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ મહામેળાના સુચારુ આયોજનને લઈને અંબાજી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં યાત્રાળુઓની સલામતી, સુરક્ષા, એસ.ટી બસ, ઇલેક્ટ્રિસિટી, ક્રાઉડ મેનેજમેન્ટ, પીવાનું પાણી, હંગામી વિસામા, ભોજન, સફાઈ, આરોગ્ય, સેનિટેશન, ફાયર સેફટી વગેરે બાબતો પર ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરાયા હતા. ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ માટે વિશેષ સફાઈ, ભીડ નિયંત્રણ જેવી બાબતો પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.
અંબાજી દ્વારા જિલ્લા કક્ષાની કુલ ૨૮ સમિતિઓ દ્વારા કરવાની થતી કામગીરી અને આયોજન અંગે વિગતો સાથે ચર્ચા કરાઈ
બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા દ્વારા મેળા દરમ્યાન યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવનાર હંગામી વિસામા, પાર્કિંગ, રોશની વગેરે બાબતોની વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી. બેઠકમાં બનાસકાંઠા જિલ્લા કલેકટર અને અધ્યક્ષ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી દ્વારા જિલ્લા કક્ષાની કુલ ૨૮ સમિતિઓ દ્વારા કરવાની થતી કામગીરી અને આયોજન અંગે વિગતો સાથે ચર્ચા કરાઈ હતી. તમામ વિભાગો વચ્ચે જરૂરી સંકલન, આકસ્મિક સમયમાં કંટ્રોલ રૂમ સાથે તાત્કાલિક જોડાણ જેવી બાબતો વિશે ચર્ચા કરાઈ હતી. અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેકટર શ્રી કૌશિક મોદી દ્વારા ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ના આયોજનનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, નાયબ પોલીસ અધિક્ષક સુમન નાલા સહિત તમામ સમિતિઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.