બનાસકાંઠાના સુઈગામ પંથકમાં ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. વરસાદ વરસ્યાના ત્રણ દિવસ બાદ પણ પરિસ્થિતિ ગંભીર છે અને આકાશી દ્રશ્યોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેતરો, ઘરો અને ખુલ્લા મેદાનો બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ખેડૂતોના ખેતરોમાં પાકની જગ્યાએ માત્ર પાણી જ ભરાયેલું હોવાથી તેમને ભારે નુકસાન થયું છે. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર વહીવટી તંત્ર સાથે સુઈગામ પહોંચ્યા હતા.
બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર સાથે સંદેશ ન્યૂઝની વાતચીત
સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતાં કલેક્ટરે જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં કરતાં પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ તારાજી વચ્ચે સુઈગામની સ્થાનિક હોસ્પિટલ લોકો માટે આશ્રયસ્થાન બની છે. 125થી વધુ પરિવારોને અહીં આશરો આપવામાં આવ્યો છે. જ્યાં તેઓ છેલ્લા ત્રણ દિવસથી જીવન નિર્વાહ કરી રહ્યા છે. બીજી તરફ વાવથી સુઈગામ હાઈવે પર પણ ગળાડૂબ પાણી ભરાયેલા છે.













