બનાસકાંઠાના સુઈગામ પંથકમાં ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. વરસાદ વરસ્યાના ત્રણ દિવસ બાદ પણ પરિસ્થિતિ ગંભીર છે અને આકાશી દ્રશ્યોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેતરો, ઘરો અને ખુલ્લા મેદાનો બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ખેડૂતોના ખેતરોમાં પાકની જગ્યાએ માત્ર પાણી જ ભરાયેલું હોવાથી તેમને ભારે નુકસાન થયું છે. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર વહીવટી તંત્ર સાથે સુઈગામ પહોંચ્યા હતા.


બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર સાથે સંદેશ ન્યૂઝની વાતચીત

સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતાં કલેક્ટરે જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં કરતાં પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ તારાજી વચ્ચે સુઈગામની સ્થાનિક હોસ્પિટલ લોકો માટે આશ્રયસ્થાન બની છે. 125થી વધુ પરિવારોને અહીં આશરો આપવામાં આવ્યો છે. જ્યાં તેઓ છેલ્લા ત્રણ દિવસથી જીવન નિર્વાહ કરી રહ્યા છે. બીજી તરફ વાવથી સુઈગામ હાઈવે પર પણ ગળાડૂબ પાણી ભરાયેલા છે.

હાઈવે પરની દુકાનો સંપૂર્ણપણે થઈ પાણીમાં ગરકાવ 

એક એસટી બસ છેલ્લા બે દિવસથી આ પાણીમાં ફસાયેલી છે અને અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા છે. જેના માત્ર ઉપરના ભાગો જ દેખાઈ રહ્યા છે. હાઈવે પર આવેલી દુકાનો પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. NDRF અને SDRFની ટીમો દ્વારા ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. નાના બાળકો સાથેના પરિવારોને પણ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. સંદેશ ન્યૂઝની ટીમ પણ જીવના જોખમે પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી અને પરિસ્થિતિનો ચિતાર રજૂ કર્યો.


  • Follow us on: