બનાસકાંઠાના સુઈગામ પંથકમાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણી છોડાતા પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સણાલી ગામમાં સ્થિતિ વધુ ગંભીર બની છે, જ્યાં નદી અને તળાવના પાણી ગામમાં ઘૂસી ગયા છે. આ પૂરના કારણે અનેક ઘરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને કારણે લોકો પોતાનું આશ્રયસ્થાન ગુમાવી બેઠા છે. આ ભયંકર પરિસ્થિતિમાં સ્થાનિકો માટે જીવન જીવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે.
લોકોનો આશરો છીનવાયો, રસ્તા પર રહેવા મજબૂર
ઘરોમાં પાણી ભરાઈ જવાથી સણાલી ગામના લોકો પોતાનો જીવ અને પશુધન બચાવવા માટે મજબૂર બન્યા છે. તેઓ પોતાના પશુઓ અને ઘરવખરી સાથે સુરક્ષિત સ્થળની શોધમાં નીકળ્યા હતા, પરંતુ કોઈ ઠેકાણું ન મળતા આખરે તેમણે હાઈવેને જ પોતાનું હંગામી ઘર બનાવ્યું છે. આસરો છીનવાઈ જવાથી ખુલ્લા આકાશ નીચે અને રસ્તા પર જીવન પસાર કરવું પડી રહ્યું છે, જે અત્યંત દુ:ખદ અને દયનીય પરિસ્થિતિ છે. આ લોકોને સુરક્ષા અને ભોજનની તાત્કાલિક જરૂરિયાત છે.













