ભાવનગર શહેરમાં મંત્રેશ કોમ્પ્લેક્ષ અને મોટા શીતળા માતાના મંદિર વચ્ચે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. બે બાઈક સામસામે અથડાતા આ અકસ્માતમાં એક વૃદ્ધનું મોત થયું છે જ્યારે ત્રણ યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બે ટુ-વ્હીલર બાઈક એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી.


2 બાઈક સામસામે અથડાતા સર્જાયો અકસ્માત

ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઈકનું હેન્ડલ વળી ગયું હતું અને ટાયર પણ છૂટું પડી ગયું હતું. આ ગંભીર અકસ્માતમાં ખોડાભાઈ બારૈયા નામના વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માતમાં અન્ય એક બાઈક પર સવાર ત્રણ યુવકો સચિન બારૈયા, પ્રેમભાઈ ડુંગરિયા અને પ્રિન્સભાઈ મકવાણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતમાં વૃદ્ધનું મોત, 3 લોકો ગંભીર

અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત ત્રણેય યુવકોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ ભાવનગરના માર્ગો પર ટ્રાફિક સુરક્ષા અંગે ફરી એકવાર ચિંતા ઊભી કરી છે.


  • Follow us on: