ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે રોડ પર ખાડા પડી ગયાં છે. રસ્તા ખરાબ થઈ જવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રસ્તા પર પડેલા ખાડાને કારણે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. ત્યારે ભાવનગરના મહુવામાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. તંત્રએ રોડ પર પડેલા ખાડા અને ગાબડાં પૂરવા માટે ચીકણી માટીનો ઉપયોગ કરતા વાહનચાલકો સ્લીપ થઈ રહ્યાં છે.


ગાબડા પુરવા માટે ચીકણી માટી નાંખી

ભાવનગરના મહુવામાં સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર બે વર્ષથી રોડ રીપેરિંગની કામગીરી ચાલી રહી છે. સ્ટેટ હાઈવે નજીક મોટા મોટા ખાડા પડી ગયા હોવાથી તંત્ર દ્વારા ખાડા અને ગાબડા પુરવા માટે ચીકણી માટી નાંખીને કામ પૂર્ણ કરી દીધું છે. આ દરમિયાન જો સહેજ પણ વરસાદ પડે તો ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ધડામ દઈને સ્લીપ ખાઈ જાય છે. માર્ગ મકાન વિભાગના અધિકારીઓને લોકોની સહેજ પણ ચિંતા ના હોય તે પ્રકારનું કામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અણઆવડત ધરાવતા કામોને લીધે લોકોને ભોગ બનવું પડે છે

તંત્રના અધિકારીઓ દ્વારા થતાં આવા અણઆવડત ધરાવતા કામોને લીધે લોકોને ભોગ બનવું પડે છે. સરકાર રોડ બનાવવા અને ખાડા પડ્યા હોય તો તેને પુરવા માટેના આદેશો આપે છે પણ અધિકારીઓ સરકારના આદેશોને ઘોળીને પી ગયા છે. રસ્તા પર ચીકણી માટી નાંખીને ખાડા પૂરવામાં આવ્યા હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. લોકોને ઈજાનો સામનો કરવો પડે છે. જો કોઈ મોટો અકસ્માત થાય અને કોઈની જીંદગી ખતરામાં આવે તો તેની જવાબદારી કોની એ સૌથી મોટો સવાલ છે.


  • Follow us on: