ભાવનગર શહેર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ નીતિનભાઈ રાઠોડ પર જીવલેણ હુમલો થતાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. બુટલેગરો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ હુમલા પાછળ દેશી દારૂના અડ્ડા બંધ કરાવવાની અદાવત હોવાનું કહેવાય છે. ઘટના સામે આવી છે ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારથી. જ્યાં બુટલેગરોએ નીતિનભાઈ રાઠોડના માથાના ભાગે મારીને જીવલેણ હુમલો કર્યો હતો.


હુમલા બાદ નીતિનભાઈને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

આ હુમલામાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલો થતાં જ નીતિનભાઈને તાત્કાલિક ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નીતિનભાઈ રાઠોડ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમણે દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા માટે સાતથી આઠ વખત પોલીસમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદોની દાઝ રાખીને બુટલેગરો દ્વારા તેમના પર આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.

ઘટનાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ઉઠ્યા સવાલ

આ સાથે નીતિનભાઈ રાઠોડે નીલમબાગ પોલીસ મથકના પી.આઈ. સામે પણ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ ઘટનાથી ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે. ભાજપના એક પદાધિકારી પર થયેલા આ હુમલા બાદ પોલીસ તંત્ર આ મામલે કેવા પગલાં ભરે છે અને દારૂના અડ્ડાઓ પર ક્યારે કાર્યવાહી થાય છે તે હવે જોવું રહ્યું.


  • Follow us on: