ભાવનગર શહેરમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આનંદનગર વિસ્તારમાં આવેલા ગુણાતીત નગર પાસે એક જર્જરિત ત્રણ માળની બિલ્ડિંગનો કેટલોક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનામાં કાટમાળ નીચે કેટલાક લોકો દબાઈ ગયા હતા, જેમાં એક યુવકનું કરૂણ મૃત્યુ થયું છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
મોડી રાત્રે સઘન રેસ્ક્યુ ઓપરેશન
બિલ્ડિંગનો ભાગ તૂટી પડ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી. મોડી રાત સુધી ચાલેલા સઘન રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કાટમાળ નીચે દબાયેલા ત્રણેય લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યુ કરીને તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે, ગંભીર ઈજાઓને કારણે એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે ઘાયલોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.













