ભાવનગર રેલવે વિભાગ દ્વારા આજે ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન નજીક એક વિશાળ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલનો હેતુ કોઈ મોટી દુર્ઘટના, જેમ કે ટ્રેન અકસ્માત, સર્જાય તો તંત્ર અને રાહત ટીમોની સજ્જતા અને ત્વરિત પ્રતિભાવનું મૂલ્યાંકન કરવાનો હતો. મોકડ્રિલમાં ટ્રેન અકસ્માત સર્જાયો હોવાની કાલ્પનિક ઘટનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.


ભાવનગર રેલવે સ્ટેશન નજીક મોકડ્રિલનું આયોજન 

આ 'અકસ્માત'ની જાણ થતાં જ રેલવે વિભાગના કર્મચારીઓ અને NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. NDRFની ટીમે તુરંત જ બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં 'ફસાયેલા' લોકોને તાત્કાલિક રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. રેલવે કોચમાંથી 'ઈજાગ્રસ્તોને' બહાર કાઢીને તેમને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી કરાઈ હતી.

ટ્રેન અકસ્માતમાં ફસાયેલાં લોકોને રેસ્ક્યુ

આ મોકડ્રિલમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ, RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ), રેલવે હોસ્પિટલ, 108 એમ્બ્યુલન્સ સેવા, NDRF સહિતની તમામ સંબંધિત ટીમો સ્થળ ઉપર હાજર રહી હતી. આ મોકડ્રિલ દ્વારા રેલવે વિભાગે દર્શાવ્યું કે જો ભવિષ્યમાં કોઈ વાસ્તવિક અકસ્માત સર્જાય તો તેઓ સફળતાપૂર્વક લોકોનું રેસ્ક્યુ કરી શકે અને બચાવ કાર્ય સહિતની તમામ કામગીરીનું સુચારુ આયોજન કરી શકે. આ પ્રકારની મોકડ્રિલ સંકટ સમયે તંત્રના સંકલનને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

  • Follow us on: