કચ્છમાં સારા વરસાદને કારણે ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ સોમવારે સાંજે 6.16 મિનિટે ઓગની જવા પામ્યું હતું. જેને રાજાશાહી સમયની પરંપરા મુજબ પાલિકાનાં નગરઅધ્યક્ષા દ્વારા વાજતે ગાજતે શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક વધાવવામાં આવ્યું હતું. જ્યારે ઉપપ્રમુખના હસ્તે દેશલસર તળાવના પણ વધામણા કરવામાં આવ્યા હતા. બપોરના 12.30 કલાકે નગરઅધ્યક્ષા સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં હમીરસર તળાવને વધાવીને ભુજવાસીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. 1954થી લઈને અત્યાર સુધીમાં 29મી વાર હમીરસર તળાવની ઓગનવિધિ કરવામાં આવી હતી.


શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

ભુજ શહેરનું હ્રદયસમું હમીરસર તળાવ સોમવારે સાંજનાં 6.16 કલાકે ઓગની જતાં શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મંગળવારે સવારે 12 કલાકે પાલિકા કચેરીએ નગરઅધ્યક્ષા રશ્મિબેન સોલંકી સહિતના હોદ્દેદારો તેમજ વિવિધ વોર્ડના સભ્યો, કર્મચારીઓ એકત્રિત થઈને બાદમાં ઢોલ -નગારા સાથે વાજતે-ગાજતે હમીરસર તળાવના કિનારે પાવડી વિસ્તારમાં પહોંચ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ઓગનવિધિ સંપન્ન કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, કારોબારી ચેરમેન મહિદિપસિંહ જાડેજા, કમલભાઇ ગઢવી, જયંત ઠક્કર, પૂર્વ નગરપતિઓ પૈકી દેવરાજભાઇ ગઢવી, શંકરભાઇ ઠક્કર, પૂર્વ ધારાસભ્ય પંકજભાઇ મહેતા, મહામંત્રી નરેન્દ્રભાઇ પ્રજાપતિ તથા રાજેશ ગોર સહિતનાં કાઉન્સિલરો તેમજ ભૌમિક વચ્છરાજાની, હર્ષદ ઠક્કર (હક્કી) સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતાં. બાદમાં આજ રીતે વાજતે ગાજતે પાલિકાના હોદ્દેદારો દેશલસર તળાવ પાસે પહોચ્યા હતા. અહીં પરંપરા મુજબ ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કરના હસ્તે શાસ્ત્રોક્તવિધિ વિધાન સાથે ઓગનવિધી કરવામાં આવી હતી.

નગરઅધ્યક્ષા તરીકે ઓગનવિધિ કરવાનો સતત બીજો મોકો મળ્યો

હમીરસર તળાવ ઓગનવાની ખુશી વ્યક્ત કરતાં પાલિકાનાં નગરઅધ્યક્ષા રશ્મીબેન સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરનું ઐતિહાસિક હમીરસર તળાવ ઓગની જતાં ભુજવાસીઓમાં જાણે હરખની હેલી ઉઠી હોય તેવો માહોલ જોવા મળ્યો છે તો હમીરસર તળાવ ઓગની જતાં પરંપરા મુજબ તેની નગરઅધ્યક્ષા તરીકે ઓગનવિધિ કરવાનો બીજો મોકો પ્રાપ્ત થયો છે, તે બદલ ઈશ્વરનો આભાર માની તેમણે ભાજપના હોદ્દેદારો તથા પાલિકાની સમગ્ર પાંખને શુભેચ્છા પાઠવી હતી. શહેરમાં રજા જાહેર કરવા બદલ વહીવટી તંત્ર તથા ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવાની સાથે શુભેચ્છા પાઠવી હતી.

વરસાદની સિઝનમાં લોકો અચૂક પુછતાં હમીરસર કેટલુ ભરાણું ?

પાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કરે જણાવ્યુ હતું કે, દર વર્ષે આપણે આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ, માત્ર ભુજ નહીં સમગ્ર કચ્છમાં વરસાદની સિઝન હોય ત્યારે અચૂક એકબીજાને હમીરસર કેટલુ ભરાણુ તેજ મુખ્ય પ્રશ્ન પુછતાં હોય છે. ત્યારે સોમવારે સૌની આતુરતાનો અંત આવી ગયો હતો. આપણા હ્રદયસમું હમીરસર તળાવ ઓગની જવા પામ્યું હતું. ભુજ પાલિકાની ટીમ મંગળવારે સવારે વાજતે ગાજતે સૌનગરજનો, પાલિકાનાં હોદ્દેદારો, પ્રમુખ, કારાબારી ચેરમેન, તમામ સદસ્યની ઉપસ્થિતિમાં હમીરસર તળાવનાં વધામણા કરવામાં આવ્યા છે, ત્યારે શહેરનાં તમામ નાગરીકોને શુભેચ્છા પાઠવી હતી.

હમીરસર તળાવ ઓગનતાં સમગ્ર જિલ્લામાં હર્ષની લાગણી

જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, શહેરનું હાર્દસમુ હમીરસર તળાવ ઓગની જતાં વર્ષોની પરંપરા મુજબ નગર અધ્યક્ષાના હસ્તે વિધિવિધાન સાથે પાલર પાણીના વધામણા કરવામાં આવ્યા છે. સોમવારે સાંજે 6.16 કલાકે હમીરસર તળાવ ઓગની જવા પામ્યું હતું, તેનો સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે ઉત્સાહ છે. કારણકે હમીરસર તળાવ ઓગને એટલે તેની આખા જિલ્લામાં હર્ષની લાગણી પ્રસરી જતી હોય છે. ત્યારે મંગળવારે સવારે માતાજીના દર્શન કરીને વાજતે ગાજતે પાલિકાની ટીમ, સૌકાર્યકર્તાઓ, નગરજનોની ઉપસ્થિતિમાં ધામધૂમથી વધામણા કરતાં સૌને હમીરસર તળાવ ઓગનવાની શુભેચ્છા પાઠવી હતી.

  • Follow us on: