ભુજ નગરપાલિકા દ્વારા એપ્રિલ ૨૦૨૫થી વેરા વસૂલાતની શરૂઆત કરી દેવામાં આવી હતી. પ્રથમ માસે એટલે કે એપ્રિલમાં રૂ. ૧.૭ કરોડ, મે માસમાં રૂ. ૨ કરોડ અને જુન માસમાં રૂ. ૩.૨૦ કરોડ મળી કુલ રૂ. ૬.૩૫ કરોડની વેરા પેટે વસૂલાત કરવામાં સફળતા મળી હતી. તો પાલિકા દ્વારા એપ્રિલ, મે અને જુન દરમ્યાન મિલકત ધારકોને ચાલુ વર્ષનાં વેરાની ભરપાઇ ઉપર ૧૦ ટકા રિબેટનો પણ લાભ આપવામાં આવ્યો હતો. જેનો ૮,૫૩૦ મિલકત ધારકોએ લાભ લીધો હતો. નગરપાલિકા દ્વારા હવે જુલાઇથી લઇને ૩૦ સપ્ટેમ્બર સુધી મિલકત ધારકોને ૫ ટકા રિબેટનો લાભ આપવામાં આવશે.


૬૬૧ મિલકત ધારકો દ્વારા ઓનલાઇન વેરાની ભરપાઈ કરાઈ

આ બાબતે વધુ માહિતી આપતાં પાલિકાનાં ટેક્સ સુપરિન્ટેન્ડેન્ટ અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે વેરા વસૂલાતની કામગીરી ૧૫ એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી. ત્યારથી લઇને જુન માસનાં અંત સુધીમાં એટલે કે ત્રણ મહિનમાં પાલિકાને રૂ. ૬,૩૫,૧૪,૮૭૩ની વસૂલાત કરવામાં સફળતા મળી હતી. પાલિકા દ્વારા એપ્રિલ, મે અને જુન માસ દરમ્યાન મિલકત ધારકોને ચાલુ વર્ષનાં વેરાની ભરપાઇ ઉપર ૧૦ ટકા રિબેટનો લાભ આપવામાં આવ્યો હતો. જેનો ૮,૫૩૦ મિલકત ધારકોએ લાભ લીધો હતો. જેમાં ૭,૮૬૬ મિલકત ધારકોએ રૂબરૂમાં અને ૬૬૧ મિલકત ધારકો દ્વારા ઓનલાઇન વેરાની ભરપાઇ કરી હતી.

હવે જુલાઇ, ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસ દરમિયાન મિલકત ધારકોને ચાલુ વર્ષનાં વેરાની ભરપાઇ ઉપર ૫ ટકા રિબેટનો લાભ આપવામાં આવશે. બાકીનાં ત્રણ માસ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન અઢી ટકા ટકા રિબેટ અપાશે. ત્યાર બાદ જાન્યુઆરીથી લઇને માર્ચ સુધી વેરા ભરપાઇ પર કોઇપણ પ્રકારનું રિબેટ મિલકત ધારકોને નહીં મળે. એટલું જ નહીં જે મિલકત ધારકોનાં ગત વર્ષનાં વેરા ભરપાઇ કરવાનાં બાકી છે, તેવા મિલકત ધારકોને પણ રિબેટ યોજનાનો લાભ મળશે નહીં. તેમ જણાવી ઉમેર્યુ હતું કે, નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દરમ્યાન રૂ.૨૨.૬૬ કરોડની વસૂલાત કરવામાં આવી હતી, ત્યારે વર્ષ ૨૦૨૫-૨૦૨૬ દરમ્યાન પણ પાલિકા દ્વારા રૂ. ૨૨ કરોડથી વધુની વેરા વસૂલાત કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

પાલિકાએ ત્રણ માસમાં ટેક્સ પેટે રૂ.૫,૮૬,૬૭,૭૬૯ની વસૂલાત કરી

ભુજ પાલિકા દ્વારા એપ્રિલ, મે અને જુન માસ દરમ્યાન વેરા પેટે રૂ. ૬,૩૫,૧૪,૮૭૩ની વસૂલાત કરવામાં સફળતા મળી છે, તેમાં મુખ્યત્વે ટેક્સ પેટે રૂ. ૫,૮૬,૬૭,૭૬૯ની વસૂલાત કરાઇ છે. જ્યારે વ્યવસાય વેરા પેટે રૂ. ૪૩,૯૨,૨૭૬ની અને દુકાન ભાડું, ઓનરોડ, હોર્િંડગ્સ ભાડું મળીને કુલ રૂ. ૪,૫૪,૮૨૮ની વસૂલાત કરવામાં આવી છે.

૬૬૧ જેટલા મિલકત ધારકોએ ઓનલાઇન વેરા ભર્યા

નોંધનીય છે કે, નગરપાલિકા દ્વારા નવા નાણાકીય વર્ષનાં પ્રથમ ત્રણ માસમાં ૮,૫૩૦ મિલકત ધારકોએ પોતાનાં બાકી વેરાની ભરપાઇ કરી છે, તેમાંથી ૭,૮૬૬ જેટલા મિલકત ધારકોએ નગરપાલિકા કચેરી ખાતે રૂબરૂમાં આવીને વેરાની ભરપાઇ કરી હતી. જ્યારે ૬૬૧ જેટલા મિલકત ધારકોએ પોતાનાં બાકી વેરાની ભરપાઇ ઓનલાઇન મારફતે કરવામાં આવી હતી.

  • Follow us on: