બોટાદ જિલ્લાના બરવાળા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ પોતાનો પ્રકોપ વરસાવ્યો છે. અવિરત અને ધોધમાર વરસાદને કારણે સમગ્ર પંથક પાણી પાણી થઈ ગયું છે, અને અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિનો સામનો કરી રહી છે.


ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક અસર

બરવાળા ઉપરાંત નભોઈ, રોજીદ, ભીમનાથ, પોલાલપુર, રાણપરી, કુંડળ, કપડિયાળી, ખમીદાણા જેવા અનેક ગ્રામ્ય પંથકોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે જેણે કારણે ખેડૂતોમાં પોતાના ઊભા પાકને લઈને વ્યાપક ચિંતા જોવા મળી રહી છે. આ સિવાય શહેર અને ગ્રામ્યના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઇ ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી જતાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. શાળાએ જતા બાળકો અને રોજીંદા કામકાજ માટે નીકળતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તંત્રની કામગીરી પર સવાલ

વરસાદી પાણીના યોગ્ય નિકાલ વ્યવસ્થાના અભાવે આ સ્થિતિ વધુ ગંભીર બની છે. સ્થાનિક નાગરિકો દ્વારા તંત્રની ઢીલી કામગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા ગોઠવી, પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે. જો સ્થિતિ પર તાત્કાલિક ધ્યાન આપવામાં નહીં આવે, તો જનજીવન વધુ મુશ્કેલ બનવાની ભીતિ સેવાઈ રહી છે.


  • Follow us on: