વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો હતો. આ ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયાં છે.કેટલાક વાહનો પણ બ્રિજ તૂટતા નદીમાં ખાબક્યા હતાં. આ બ્રિજને લઈને લોકોએ અનેક રજૂઆતો કરી હતી. પરંતુ આ રજૂઆતોને અવગણીને અધિકારીઓએ માત્ર સમારકામ કરીને સંતોષ માની લીધો હતો. અધિકારીઓ અને રાજકારણીઓની ઘોર નિંદ્રાના કારણે જ આ ઘટના બની હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો. મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠક બાદ અધિકારીઓ સાથેની બેઠકમાં તપાસનો આદેશ આપ્યો હતો.


ચકાસણીના રીપોર્ટમાં બ્રિજને રીપેર કરવા લાયક ઠેરવવામાં આવ્યો

આ ઘટના અંગે માર્ગ અને મકાન વિભાગના સચિવ પી.આર.પટેલિયાએ કહ્યું હતું કે, મે 2025માં ગંભીરા બ્રિજની ચકાસણી થઈ હતી. વડોદરાના ઈન્ચાર્જ જુનિયર એન્જિનિયરે બ્રિજની ચકાસણી કરી હતી. ચકાસણીના રીપોર્ટમાં બ્રિજને રીપેર કરવા લાયક ઠેરવવામાં આવ્યો હતો. રાજ્યના ભયજનક બ્રિજમાં ગંભીરા બ્રિજનો સમાવેશ કરાયો નહોતો. તપાસ ટીમને તાત્કાલિક રિપોર્ટ આપવા સૂચના અપાઈ છે. સાંજ સુધીમાં મુખ્યમંત્રીને રિપોર્ટ આપવા સૂચના અપાઈ છે. જ્યારે 30 દિવસમાં વિગતવાર રિપોર્ટ આપવા આદેશ કરાયો છે.

માર્ગ અને મકાન વિભાગને રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો

મુખ્યમંત્રીએ દુર્ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્યમાં અન્ય જર્જરિત થયેલા બ્રિજની વિગતો માંગી હતી. માર્ગ અને મકાન વિભાગને રિપોર્ટ સોંપવા આદેશ કર્યો હતો. રાજ્ય અને કેન્દ્ર સરકારે મૃતકો અને ઈજાગ્રસ્તોને સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઘટનાની તપાસ માટે એક્સેલેન્સ ટીમને પણ રવાના કરવા આદેશ કરાયો હતો. 

  • Follow us on: