વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે અન્ય બ્રિજોના સમારકામ માટે આદેશ કર્યો હતો. તંત્રના અધિકારીઓએ રાજ્યમાં બ્રિજોની મરામત અંગે ચકાસણી હાથ ધરી હતી. જેમાં નવો બ્રિજ બનાવવા અને નબળા બ્રિજ અંગેની વિગતો મેળવાઈ હતી. આ દરમિયાન જૂનાગઢમાં આજક ગામમાં એક બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. આત્રોલી-કેશોદ જતા રોડ પરનો પુલ સમારકામ દરમિયાન તૂટી પડ્યો હતો.


પુલનો સ્લેબ પડતા હીટાચી JCB પણ નદીમાં ખાબકયું

પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢના આજક ગામમાં આત્રોલી-કેશોદ જતા રોડ પરનો પુલ સમારકામ દરમિયાન તૂટી પડ્યો હતો. આ દરમિયાન પુલ પર ઉભેલા લોકો સહિત એક જેસીબી મશીન નદીમાં ખાબક્યું હતું. પુલનો સ્લેબ પડતાં હિટાચી જેસીબી નદીમાં ખાબકતાં દોડાદોડ થઈ ગઈ હતી. પુલનું સમારકામ શરૂ હતું તે સમયે અચાનક પુલનો સ્લેબ ધરાશયી થયો હતો. પુલ ઉપર ઉભેલા લોકો નદીમાં ખાબક્યા હતા પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. પુલ રીપેરીંગનું કામ ચાલુ હતું ત્યારે હીટાચી મશીન ચાલતું હતું તે સમયે અમુક લોકો ત્યાં ઉભેલા હતાં. અચાનક આ પુલનો સ્લેબ પડતા હીટાચી JCB પણ નદીમાં ખાબકયું હતું. નદી પરનો પુલ એટલી ઊંચાઈએ નહીં હોવાથી જાનહાની ટળી હતી.

 97 પુલ વાહન વ્યવહાર માટે બંધ

રાજ્યમાં કોર્પોરેશન વિસ્તારોમાં કુલ 364 બ્રિજ આવેલા છે.જે પૈકી 231 બ્રિજ ખુબ સારી સ્થિતિમાં અને 89 બ્રિજ સારી સ્થિતિમાં તેમજ 39 બ્રિજ જર્જરિત સ્થિતિમાં છે. વધુમાં આ જર્જરિત બ્રિજનું સમારકામ પ્રગતિમાં છે. રાજ્યમાં જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને મેજર અને માઈનોર કેટેગરીના કુલ 97 પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના 12, પંચાયતના 23 અને રાજ્ય ધોરીમાર્ગના 62 પુલનો સમાવેશ થાય છે.


  • Follow us on: