ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ પાણીજન્ય રોગચાળાના કેસ જુનાગઢમાં વધી રહ્યા છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ઋતુગત બિમારીઓના કેસમાં વધારો નોંધાયો છે. સિઝનની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. જુલાઈ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં કેસમાં વધી રહ્યા છે.
ગત માસમાં ટાઈફોઈડના 10 કેસ નોંધાયા
જુનાગઢ જિલ્લામાં રોગચાળો દિવસે દિવસે વકરી રહ્યો છે. શરદી, ઉધરસ, તાવના સિવિલ હોસ્પિટલ ખાતે જૂન મહિનામાં 60 કેસ નોંધાયા હતા. જેની સામે જુલાઈ માસના શરદી, ઉધરસ, તાવના આજ દિન સુધીના 15 કેસ નોંધાયા છે. આ ઉપરાંત જૂન માસમાં ઝાડા-ઉલટીના કુલ 130 કેસ સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયા છે. જ્યારે જુલાઈ માસમાં 30 કેસ નોંધાયા હતા. ગત માસમાં ટાઈફોઈડના 10 કેસ નોંધાયા છે, જ્યારે જુલાઈમાં ત્રણ કેસ સામે આવ્યા છે. ચોમાસાની ઋતુમાં મચ્છર અને બાકીના ઉપદ્રવથી ઝાડા-ઉલટીના કેસમાં વધારો જોવા મળ્યો છે. બહારનું પાણી અને બહારનો ખોરાક લેવાથી બીમારીમાં વધારો થઈ શકે છે. લોકોએ નિરોગી રહેવા બહારનો ખોરાક તેમજ પાણી લેવાનું ટાળવું શક્ય હોય તો ઉકાળેલું તેમજ ક્લોરીન યુક્ત પાણી પીવું જોઈએ તેવી સલાહ આપવામાં આવી છે.
સુરતમાં પણ રોગચાળો વકર્યો
સુરતમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગાચાળો વકર્યો હતો અને જેમાં 1 વર્ષના બે બાળકોના મોત થયા છે, સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોગચાળો વકર્યો હોવાની વાત સામે આવી છે તો બાળકોને તાવ આવતા તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું છે, ફરજ પરના તબીબે બાળકોને મૃત જાહેર કર્યા છે. સ્લમ વિસ્તારમાં રોગચાળો વધતો હોય છે અને સુરત પાલિકા તંત્ર જાણે રોગચાળાને અટકવવા માટે કંઈ કરી રહ્યું ના હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સુરતનું આરોગ્ય તંત્ર સતર્ક બને અને રોગચાળો અટકે તે જરૂરી બન્યું છે, સ્લમ વિસ્તારમાં ગંદકી અને વરસાદી પાણી ભરાઈ રહેતા હોવાના કારણે રોગચાળો વધતો હોય છે.