વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પાદરા બ્રિજ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોની વ્હારે હવે સાવલીના ધારાસભ્ય આવ્યા છે. ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય તરીકેના સરકારી બે વર્ષના પગારમાંથી મૃતકોના પરિવારજનોને રૂપિયા 1-1 લાખ સહાય કરવાની જાહેરાત કરી છે. પાદરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે.


દુર્ઘટનાના ચોથા દિવસ બાદ નોંધાઈ FIR

ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે અને આ દુર્ઘટનાના ચોથા દિવસે પાદરા પોલીસે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે. આ ઘટનામાં સરકારની ટીમ સાથે હવે પોલીસ પણ અલગથી તપાસ હાથ ધરશે. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે, ત્યારે ચાર દિવસના વિલંબ બાદ પોલીસે ગુનો નોંધતા પીડિત પરિવારો અને સ્થાનિકોમાં થોડી રાહત થઈ છે. પાદરા પોલીસે આ મામલે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.

પાદરા બ્રિજ દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ

વડોદરામાં પાદરા બ્રિજ દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બ્રિજના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ છે. તપાસ ટીમ દ્વારા બ્રિજ પર કામગીરી હાથ ધરાઈ છે. બ્રિજના સ્લેબ નીચે હજુ એક મૃતદેહ દટાયેલો છે. મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. વડોદરાના પાદરામાં 9 જુલાઈએ બ્રિજ દુર્ઘટના થવાની મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે.


  • Follow us on: