તાંત્રિક વિધિના નામે ઠગાઇ કરનાર ભુવાની પોલીસે કરી ધરપકડ છે. નાગદોષની વિધિ કરવાના બહાને સોના ચાંદીના દાગીના લઇને ઠગ ભુવો ફરાર થયો હતો. સેટેલાઇટ પોલીસે આરોપીની ધરપકડ કરીને ચાંદીના દાગીના કબ્જે લીધા છે. સેટેલાઇટ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આરોપી ભુવા સાથે તેનો સાગરીત સિક્કાનાથની સંડોવણી હોવાથી સેટેલાઇટ પોલીસે વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ આરોપી ભુવાએ તાંત્રિક વિધિના નામે અન્ય કેટલા લોકો સાથે છેતરપીંડી કરી છે અને આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે.


ઠગાઇ કરનાર ભુવાની પોલીસે કરી ધરપકડ 

આરોપી નેનુનાથ ઉર્ફે ભરત પંડિતની છેતરપીંડી કેસમાં સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ તાંત્રિક વિધિના નામે સોના ચાંદીના દાગીના પડાવીને ઠગાઈ કરી હતી. સમગ્ર બનાવની વાત કરીએ તો સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 10 માર્ચના રોજ રોશનભાઈ ધોબી નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાઇ હતી કે ભરત પંડિત નામના આરોપીએ નાગદોષની વિધિ કરવાના નામે તથા રાજસ્થાન ખાતેની જમીન અને જૂના દાગીના પાછા મેળવવાની વિધિ કરી આપવાનું કહીને છેતરપીંડી કરી છે. આરોપી ભરત પંડિત વિધિના નામે ગુનાહીત કાવતરું રચી 3 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના પડાવીને ફરાર થઇ ગયો હતો. સેટેલાઇટ પોલીસે બાતમીના આધારે આરોપી નેનુનાથ ઉર્ફ ભરત પંડિતને બનાસકાંઠાથી ધરપકડ કરી છે.

તાંત્રિક વિધિના નામે સોના ચાંદીના દાગીના પડાવીને ઠગાઈ કરી 

પોલીસ તપાસમાં સામે આવ્યું કે 22 વર્ષીય આરોપી ભુવો ભરત પંડિત બનાસકાંઠાનો રહેવાસી છે. આરોપી પરિણીત છે અને એક સંતાન પણ છે. આરોપી ભરત પંડિત અને સિક્કાનાથ નામના આરોપીઓ ગ્રહોના નંગનું વેચીને લોકોને અંધશ્રદ્ધા ફેલાવીને ઠગતા હતા. આ આરોપી પીડિત લોકોની તકલીફ જાણીને તાંત્રિક વિધિના બહાને નિરાકરણ લાવવાનું કહીને છેતરપિંડી કરતા હતા. આરોપીની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપી પીડિત લોકોનો વિશ્વાસ કેળવતો હતો અને ત્યારબાદ વિધિના નામે માટલી મંગાવીને માટલીમાં સોના ચાંદીના દાગીના અને રોકડ વસ્તુઓ મુકાવી દેતો હતો. આ માટલીની વિધિના બહાને અગરબત્તી સળગાવીને પીડિત લોકોને બહાર મોકલી આપતો હતો. ત્યાર બાદ કિંમતી વસ્તુઓ લઈને ખાલી માટલી પરિવારને આપતો હતો. અમદાવાદના પરિવાર સાથે આ પ્રકારે ઠગાઈ કરી હતી.


  • Follow us on: