વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરમાં અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે તેને લઈ પોલીસ એલર્ટ મોડમાં છે, આવા સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સંશાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણો (SUB-CONVENTIONAL AERIAL PLATFORM)ના ગેરલાભ લઇ કોઈ કાયદો અને વ્યવસ્થાને નુકસાન ના પહોંચાડે તેને લઈ નો ડ્રોન ફલાય ઝોન જાહેરનામું સમગ્ર શહેરમાં લાગુ કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર
પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેર, (ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના તા.૦૮/૧૧/૮૨ ના નોટીફીકેશન નં.જીજી/ ૪૨૨/ સીઆરસી/૧૦૮૨/૧૦૮૦-એમ તથા ગૃહ વિભાગના તા.૦૭/૦૧/૧૯૮૯ ના સંકલીત જાહેરનામાં નં.જીજી/ ૬/ ફકઅ / ૧૦૮૮/ ૬૭૫૦/મ) અન્વયે મને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ મુજબ મળેલ સત્તાની રૂએ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં આ નીચે જણાવેલ સમયે મહાનુભાવ અને જાહેર જનતાની સલામતીને ધ્યાને લઇ અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરૂ છુ. જે દરમ્યાનમાં રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન (DRONE), ક્વાડ કોપ્ટર (QUADCOPTER), પાવર્ડ એરક્રાફ્ટ (POWERED AIRCRAFT) તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (MICROLIGHT AIRCRAFT), હેંગ ગ્લાઇડર/ પેરાગ્લાઇડર (HANG GLIDER/PARA GLIDER), પેરા મોટર (PARA MOTOR), તેમજ હોટ એર બલુન (HOT AIR BALLOONS) તથા પેરા જમ્પીંગ (PARA JUMPING) ચલાવવાની/ કરવાની મનાઇ ફરમાવું છું.
પોલીસ વિભાગને આ જાહેરનામું લાગુ નહી પડે અપવાદ
પોલીસ વિભાગ અને સુરક્ષાબળો દ્વારા ઉપરોક્ત સંસાધનોના ઉપયોગ કરવા આ જાહેરનામાં માંથી મુક્તિ આપુ છું : પોલીસ કમિશનર
26 ઓગસ્ટ સાંજના 5 વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં નો ડ્રોન ફલાય રહેશે
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર, આ હુકમ તા.૨૫/૦૮/૨૦૨૫ ના કલાક ૧૪/૦૦ થી તા.૨૬/૦૮/૨૫ કલાક ૧૭/૦૦ સુધી અમલમાં રહેશે.
જાહેરનામાનો ભંગ કરશો તો પોલીસ નોંધશે ગુનો
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ની કલમ - ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતા સંયુક્ત/ અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પો.સ.ઇ. સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.