અમદાવાદ શહેરમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે થતી હિંસાના કિસ્સા અટકવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ચાણક્યપુરી સ્કૂલ ભારે વિવાદમાં સપડાઈ છે. અહીં એક શિક્ષકે વિદ્યાર્થીને માર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે વાલીઓના ભારે હોબાળા બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે અને શાળાને કારણદર્શક નોટિસ ફટકારી છે. બીજી તરફ, મામલો બિચકતાં પોલીસ સ્ટેશનમાં કસૂરવાર શિક્ષક સામે સત્તાવાર ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
શિસ્તના નામે કાયદો હાથમાં લીધો
સમગ્ર વિવાદ અંગે ચાણક્યપુરી સ્કૂલના પ્રિન્સિપાલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થી ક્લાસમાં સતત તોફાન કરી રહ્યો હતો, જેના કારણે શિક્ષક લક્ષ્મણ પરાએ શિસ્તના ભાગરૂપે તેને લાફો મારી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક વાલીઓને ફોન કરીને શાળાએ બોલાવ્યા હતા.













