અમદાવાદમાં તેજ રફ્તારમાં કાર ચલાવીને 9 લોકોના ભોગ લઇ લેનારા રફ્તારના રાક્ષસ તથ્ય પટેલ કોઇપણ ભોગે જામીન મેળવવા અને જેલમાંથી બહાર આવવા હવાતિયાં મારી રહ્યો છે. જામીન મેળવવા માટે આરોપી તથ્ય પટેલે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. તથ્ય પટેલે અગાઉ ટ્રાયલ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી પણ ટ્રાયલ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી પરિણામે તેણે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. ગ્રામ્ય કોર્ટમાં ચાર્જ ફ્રેમ બાકી હોવાથી જામીન આપવા તેણે માંગ કરી હતી.
તથ્યએ 9 લોકોને કચડી નાખેલા
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત 19 જુલાઇના રોજ રાત્રીના સમયે ફુલ સ્પીડમાં આવી રહેલા તથ્ય પટેલે અકસ્માત સર્જીને 9 લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનાથી આખુ ગુજરાત હચમચી ઉઠ્યું હતું. બ્રિજ પર થયેલા અકસ્માત સમયે લોકો ટોળે વળેલા હતા ત્યારે તથ્ય પટેલે 140 કિમીની ઝડપે પોતાની જેગુઆર કાર ચલાવીને ધસી આવ્યો હતો અને 9 લોકો પર કાર ચઢાવી દીધી હતી.
તથ્ય અને પ્રજ્ઞેશની ધરપકડ કરાઇ હતી
આ અકસ્માત મામલે પોલીસે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ ની ધરપકડ કરી હતી અને જેલ ભેગા કરેલા હતા. ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તથ્ય પટેલ સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.
પોલીસે 1700 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી
આ ઘટનામાં પોલીસે 1700 પાનાની ચાર્જશીટ પણ અદાલતમાં દાખલ કરી હતી જેમાં એફએસએલનો રિપોર્ટ તથા ડીએનએ રિપોર્ટ પણ સામેલ કરાયો હતો. ઉલ્લેખનિય છે કે અગાઉ કોર્ટે તેને હંગામી જામીન પણ આપેલા છે