અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી સારવાર માટે લઈ જતા ભાગી ગયેલો આરોપી ફરી વખત પોલીસના સંકજામાં આવ્યો છે. અમદાવાદથી ભાગેલો આરોપી બે રાજ્યો ફરી પોલીસ સમક્ષ હાજર થયો હતો. જ્યાંથી પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયેલો આરોપી અર્જુન રાજપૂત 18 એપ્રિલના રોજ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો.


3 માર્ચે શિવરંજની વિસ્તારમાં બની હતી ઘટના

આરોપી અર્જુનને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈને પોલીસ પહોંચી હતી. તે સમયે જપ્તાની પોલીસને ચકમો આપી આરોપી ફરાર થયો હતો, જે બાદ આરોપી વિરુદ્ધ સોલા પોલીસ મથકમાં વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આરોપી પોલીસની કસ્ટડીમાંથી ફરાર થયા બાદ અન્ય બે રાજ્યોમાં નાસ્તો ફરતો હતો. જે બાદ પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના શિવરંજની વિસ્તારમાં 3 માર્ચના રોજ બારીની ગ્રીલ તોડી 45 લાખ રૂપિયાની ઘરફોડ ચોરી કરવામાં આવી હતી. જે ગુનામાં આરોપી અર્જુન રાજપૂતની પોલીસે ધરપકડ કરી હતી.

વડોદરા કોર્ટમાં આરોપીએ સરન્ડર કર્યુ

મહત્વનું છે કે 47 જેટલા ઘરફોડ ચોરીના ગુનાનો આરોપી મહા મહેનતે પોલીસના હાથે આવ્યો હતો અને તેમાં પણ પોલીસની જ કસ્ટડીમાંથી તે ફરાર થતા બેદરકાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી પોલીસ જપ્તામાંથી ભાગ્યા બાદ રાજસ્થાન, હરિયાણા અને ભરતપુર ખાતે રહેતા તેના પરિવારજનોના ઘરે છુપાયો હતો. જે બાદ વડોદરા કોર્ટમાં આરોપીએ સરન્ડર કરતા સયાજીગંજ પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે અમદાવાદના ગુનામાં તેની ધરપકડ બાકી હોવાથી પોલીસે આરોપી અર્જુનની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઘરફોડ ચોરીના ગુનાનો અને પોલીસ જપ્તામાંથી ભાગેલા આરોપીની ધરપકડ બાદ 22 લાખ રૂપિયાનો મુદ્દા માલ પણ પોલીસે કબજે કર્યો હતો. સાથે જ પોલીસે આરોપીની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શું વધુ ખુલાસા થાય છે અને આરોપીની પૂછપરછ બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવુ મહત્વનું છે. 

  • Follow us on: