ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ અંતર્ગત આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર કેતકીબેન વ્યાસ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.તેમની સામે તેમની આવકના સ્ત્રોત કરતાં વધુ સંપત્તિ વસાવવા બદલ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ACBની તપાસમાં બહાર આવ્યું છે કે કેતકીબેન વ્યાસે પોતાની નોકરીના સમયગાળા દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને અપ્રમાણસર મિલકતો વસાવી હતી. 


કેતકીબેન વ્યાસ વિરુદ્ધ કાર્યવાહી

તપાસ દરમિયાન તેઓની વર્ષ 2012 થી 2023 સુધીની આવક અને ખર્ચની વિગતો તપાસતા તેમની પાસે તેમની જાણીતી આવકના સ્ત્રોત કરતાં 68.84 ટકા વધુ સંપત્તિ મળી આવી છે.ACB ના રિપોર્ટ મુજબ કેતકીબેન વ્યાસ પાસે અંદાજે રૂ.3.56 કરોડની અપ્રમાણસર મિલકત હોવાનો આક્ષેપ છે.આ સંપત્તિ વર્ષ 2012થી 2023ના લાંબા ગાળા દરમિયાન એકત્ર કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.ACB દ્વારા તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ACB દ્વારા વધુ સઘન તપાસ શરૂ કરવામાં આવી 

આ મામલે અમદાવાદ ACB દ્વારા વધુ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.અધિકારીઓ હવે તેમની અને તેમના પરિવારના નામે રહેલી સ્થાવર અને જંગમ મિલકતોની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે.આટલી મોટી માત્રામાં અપ્રમાણસર સંપત્તિ મળતા વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.ACBના આ પગલાથી સરકારી અધિકારીઓમાં કાયદાનો ડર પેદા થયો છે.ભવિષ્યમાં આ કેસમાં તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિઓ કે મિલકતોના નામ બહાર આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં ચોમાસામાં અકસ્માત ટાળવા સ્ટોપ અને ડાયવર્ઝન દર્શાવતા કટઆઉટ તૈયાર



  • Follow us on: