ચાંગોદરના તાજપુર ગામની સીમમાંથી પસાર થતી રેલ્વે લાઇન નજીકથી 16મી માર્ચના દિવસે મળી આવેલ મૃતદેહના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસએ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી સંતલાલ ગૌતમ અને મધ્યપ્રદેશના રહેવાસી રોહિતસીંગ ગોડ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. બંન્ને આરોપીઓએ માત્ર 2 લાખ રૂપિયા મેળવવાની લાલચમાં આવીને મોહિબુલ ઇસ્લામ નામના યુવકને ગળું દબાવી હત્યા કરી દીધી હતી. બાદમાં તેની ઓળખ ના થાય તે માટે ટી શર્ટ ચહેરા પર નાંખીને સળગાવી દીધી હતી. જો કે પોલીસ તપાસમાં બંન્નેની પોલ ખુલ્લી પડી ગઇ હતી.


2 લાખની લાલચમાં હત્યા

16મી માર્ચએ સળગાવેલી હાલતમાં ચહેરા સાથે એક મૃતદેહ મળી આવ્યો હતો. જો કે યુવકનો ચહેરો સળગી ગયેલ હાલતમાં હોવાથી તેની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ બની હતી. પરંતુ પોલીસએ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. જ્યારે 17મી માર્ચના દિવસે ચાંગોદરમાં આવેલ મેક્સ ગ્રાફિક્સમાં કામ કરતો મોહિબુલ ઇસ્લામની કોઇ ભાળ મળતી ના હોવાની જાણ ચાંગોદર પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસએ તેના મોબાઇલ નંબરના આધારે કોલ ડિટેઇલ મેળવી આ ઉપરાંત તેની સાથે કામ કરતા કર્મચારીઓ અને પરિવારજનોની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જેમાં સફળતા મળતા પોલીસએ બે આરોપીઓને ઝડપી લીધા છે. મૃતક અને આરોપીઓ છેલ્લા 25 દિવસથી સાથે કામ કરતા હતાં. એક દિવસ મૃતક મોહિબુલ ઇસ્લામએ બંન્ને આરોપીઓને મજાક મજાકમાં કહ્યું હતું કે તેના બેંક એકાઉન્ટમાં રૂપિયા 2 લાખ જમા છે. જેથી બંન્ને આરોપીઓની દાનત બગડી હતી.

બેંક એકાઉન્ટમાંથી રૂપીયા 800 ટ્રાન્સફર કરી લીધા

પ્લાન મુજબ નોકરીથી છુટ્યા બાદ બંન્ને આરોપીઓ મૃતકને રેલ્વે લાઇન પાસે લઇ ગયા હતાં. જ્યાં હત્યા કરવાના ઇરાદે તેઓ કંપનીમાંથી જ એક દોરી લઇ ગયા હતાં. જેની મદદથી બંન્નેએ મોહિબુલ ઇસ્લામનું ગળું દબાવ્યું હતું. તેના મોબાઇલ, એટીએમ, ગુગલ પે નો પાસવર્ડ મેળવી લીધો હતો. જો કે દોરી તુટી જતા આરોપીઓએ મૃતકએ પહેરેલ બુટની દોરી કાઢીને તેની મદદથી તેને ગળેટુંપો આપ્યો હતો અને હત્યા કરી દીધી હતી. બાદમાં તેના બેંક એકાઉન્ટમાંથી રૂપીયા 800 ટ્રાન્સફર કરી લીધા હતાં. અને ટ્રેન આવતા મૃતદેહને ટ્રેનની નીચે ફેંકી દેવા માટેનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમાં સફળ ના થતાં અંતે તેમણે નજીકના ગરનાળામાં મૃતદેહ ફેંકીને ઓળખના થાય તે માટે મૃતકએ પહેરેલ ટી શર્ટ કાઢી તેના ચેહેરા પર ઢાંકીને સળગાવી દીધી હતી. બાદમાં મોબાઇલની લુંટ કરીને તેઓ પલાયન થઇ ગયા હતાં.

આરોપીએ વતનમાં નાસી જવાનો પ્લાન બનાવ્યો 

હત્યા બાદ બંન્ને આરોપીએ વતનમાં નાસી જવાનો પ્લાન બનાવ્યો હતો. જ્યારે મૃતકનો મોબાઇલ શાહપુર નજીક કોઇને વહેચી દીધો હતો. સામેવાળા વ્યક્તિને વિશ્વાસમાં લેવા માટે આરોપીએ મૃતકના મોબાઇલમાંથી તેનું આધારકાર્ડ અને મોબાઇલની બીલની ઝેરોક્ષ કઢાવીને પોતે જ આ વ્યક્તિ હોવનાની ઓળખ આપી હતી. જ્યારે મૃતકનું સીમકાર્ડ તેમણે નવો એક કી પેડ ફોન ખરીદીને તેમાં ચાલુ કર્યું હતું. પોલીસ તપાસ દરમિયાન બંન્ને આરોપીઓના નામ સામે આવતા પોલીસએ બંન્ન આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણેય મિત્રો સાથે જ એક કંપનીમાં કામ કરતા હતાં. હાલમાં પોલીસએ બંન્ને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.


  • Follow us on: