અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નવા માલકનેશ ગામમાં એક યુવકની છરીના ઘા મારીને કરપીણ હત્યા કરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકનું નામ મેહુલ સોલંકી છે. જેની 30 વર્ષની વયમાં હત્યા થઈ ગઈ છે. કોઈ અજાણ્યા હુમલાખોરોએ તેના પર હુમલો કરતાં છરીના 10થી વધુ ઘા ઝીંકીને તેની હત્યા કરી હતી. હત્યા બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
નવા માલકનેશ ગામમાં હત્યાનો બનાવ
પોલીસને જાણ થતાં જ ખાંભા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે રાજુલા હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. આ સાથે જ પોલીસે આ હત્યા પાછળનું કારણ જાણવા માટે કવાયત હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં અંગત અદાવત કે જૂની તકરારને કારણે આ હત્યા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.













