દેશભરમાં ભગવાન ગણેશજીનો ઉત્સવ શરૂ થયો છે. ભક્તો પોતાના ઘર, સોસાયટી અને મંડળોમાં ભગવાન શ્રીજીની સ્થાપના કરી રહ્યાં છે. વાજતે ગાજતે શ્રીજીની મૂર્તિને લાવવામાં આવી રહી છે. ત્યારે આવા ભક્તિસભર માહોલમાં ભરૂચના અંકલેશ્વરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. શ્રીજીની આગમન યાત્રા દરમિયાન એક ટેમ્પો ચાલકે ત્રણ બાળકોને કચડ્યા હતાં.


એક બાળકીનું ઘટના સ્થળે મોત નિપજ્યું

ભરૂચના અંકલેશ્વરમાં ગડખોલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભગવાન ગણેશની મૂર્તિ લઈને આવતા લોકોને એક ટેમ્પો ચાલકે અટફેટે લીધા છે. આ દરમિયાન ટેમ્પો ચાલકે ત્રણ બાળકોને અડફેટે લેતા એક બાળકીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે. ટેમ્પોના ટાયર નીચે બાળકી કચડાઈ જતાં ભક્તિનો માહોલ માતમમાં ફેરવાયો હતો.

અન્ય વ્યક્તિને ટેમ્પો ચલાવવા આપતાં આ દુર્ઘટના સર્જાઈ

અંકલેશ્વરના ગડખોલ ગામના રોડ પર ડીજેનો ટેમ્પો રિવર્સ આવતા પાછળ નાચી રહેલા ત્રણ બાળકોને ટેમ્પો ચાલકે કચડ્યા હતાં. જેમાં એક બાળકનું મોત નિપજ્યું હતું અને અન્ય બાળકો ઘાયલ થયા હતાં. ટેમ્પોના ડ્રાઈવરે અન્ય વ્યક્તિને ટેમ્પો ચલાવવા આપતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. બે બાળકોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. 

  • Follow us on: