બનાસકાંઠા જિલ્લાના દિયોદર એડિશનલ સેશન કોર્ટે એક સનસનીખેજ ચુકાદો આપ્યો છે. જેમાં પત્નીની ઘાતકી હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદાએ સમાજમાં કાયદાના શાસનનો મજબૂત સંદેશો આપ્યો છે. આ કેસ વર્ષ 2021નો છે. જ્યારે ભાભર તાલુકાના મેરા ગામના રહેવાસી લક્ષ્મણ ઠાકોરે પોતાની પત્નીની હત્યા કરી હતી.


આરોપી લક્ષ્મણ ઠાકોરે કરી હતી પત્નીની હત્યા

આ નરાધમે હત્યા કર્યા બાદ પત્નીની લાશને છુપાવવા માટે તેને જમીનમાં દાટી દીધી હતી. આ ઘટના બહાર આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને આરોપી લક્ષ્મણ ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સચોટ પુરાવાઓ એકત્રિત કરીને કેસને કોર્ટમાં રજૂ કર્યો હતો. દિયોદર એડિશનલ સેશન કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી હતી.

હત્યા બાદ લાશને જમીનમાં દાટી દીધી હતી

જેમાં સરકારી વકીલે આરોપી વિરુદ્ધ મજબૂત દલીલો અને પુરાવાઓ રજૂ કર્યા હતા. કોર્ટે તમામ પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનોને ધ્યાનમાં રાખીને આરોપી લક્ષ્મણ ઠાકોરને દોષિત ઠરવ્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આ પ્રકારના ગુનાઓ સમાજ માટે એક ખતરો છે અને ગુનેગારોને કડકમાં કડક સજા થવી જરૂરી છે જેથી આવા કૃત્યો ફરી ન બને. આથી કોર્ટે આરોપીને આજીવન કેદ અને 7,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

  • Follow us on: