છોટાઉદેપુરમાંથી એક ગંભીર અને રહસ્યમય બનાવ સામે આવ્યો છે. જેમાં બોડેલીના ધનપુર ગામના રહેવાસી યુવક નિતેશ રાઠવા તા. 25મી ઓક્ટોબરે ગુમ થયો હતો. આ 24 યુવકની શોધખોળના બે દિવસ બાદ ધનપુર ખોસ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. નિતેશ રાઠવાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. આ ઘટનાની પરિવારજનોને જાણ થતાં પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે.


25 તારીખે ગુમ થયેલા નિતેશ રાઠવાનો મૃતદેહ મળ્યો

તેમના જણાવ્યા મુજબ મૃતક નિતેશ રાઠવાનો ગામની જ એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. તેમજ તેમણે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે 25મી ઓક્ટોબરના રોજ નિતેશ તે યુવતીને મળવા ગયો હતો. જ્યાં યુવતીના પિતાએ બંનેને જોઈ લીધા હતા. ત્યારબાદ કોઈ વિવાદ કે માથાકૂટ થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તે બાદ નિતેશ અચાનક ગુમ થઈ ગયો હતો. જ્યારે આજે ધનપુર ખોસ પાસે આવેલી નર્મદા કેનાલમાંથી નિતેશનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોક અને આક્રોશનું માહોલ છવાઈ ગયો છે.

પ્રેમ પ્રકરણમાં યુવાનને મારી અને ફેંકવાનો આક્ષેપ

પરિવારજનોએ સ્પષ્ટપણે આક્ષેપ કર્યો છે કે પ્રેમ પ્રકરણના કારણે નિતેશની હત્યા કરવામાં આવી છે અને પુરાવા નષ્ટ કરવા માટે તેની મૃતદેહને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પોલીસે પ્રાથમિક તબક્કે યુવકના મોત અંગે હત્યાની શંકા વ્યક્ત કરી છે અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. યુવતીના પિતા સહિત કેટલાક શંકાસ્પદ લોકોની પૂછપરછ ચાલી રહી છે. હાલ ધનપુર સહિત આસપાસના વિસ્તારમાં આ બનાવને લઈને ચર્ચાનો માહોલ સર્જાયો છે.


  • Follow us on: