ગુજરાત સાયબર ક્રાઇમ ટીમે એક મોટું ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય એક મોટી સાયબર ક્રાઇમ સિન્ડિકેટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ સિન્ડિકેટના તાર ગુજરાત, વિયેતનામ અને કંબોડિયા સુધી ફેલાયેલા હતા. ગુજરાતમાં જ આ ગેંગે 141 કેસમાં કુલ રૂપિયા 17.75 કરોડની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં બેંક એકાઉન્ટની કીટ, ATM કાર્ડ, SIM કાર્ડ અને POS મશીનો જપ્ત કર્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે નિવેદન આપીને સાયબર ક્રાઇમ કેસોમાં ઝડપી કામગીરી બદલ પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.


વીમો-શેરબજારના નામે ઠગાઈ અને ડિજિટલ અરેસ્ટનો ખોફ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી કે આ ઠગબાજો મુખ્યત્વે વીમો, શેર બજારમાં રોકાણ અને લોભામણી ઓફરના નામે લોકોને છેતરે છે. તેમણે ચેતવણી આપી કે ઠગબાજો ખાસ કરીને સિનિયર સિટીઝનને વધુ ફસાવે છે. લોકોને સાયબર ઠગાઈથી બચાવવા માટે જાગૃતિ લાવવા પર ભાર મૂકતા તેમણે સ્પષ્ટ કર્યું કે, પોલીસ દ્વારા 'ડિજિટલ અરેસ્ટ'ની કોઈ જોગવાઈ જ નથી. જો કોઈ તમને ડિજિટલ અરેસ્ટના નામે ડરાવીને પૈસા પડાવવાનો પ્રયત્ન કરે, તો તાત્કાલિક સાવચેત થવાની જરૂર છે. લોકો સાવચેત થશે ત્યારે જ આ કૌભાંડો પર સંપૂર્ણ સફળતા મેળવી શકાશે.

છેતરપિંડી થાય તો 'ગોલ્ડન સમય'માં ફરિયાદ કરો

સાયબર ક્રાઇમનો ભોગ બનેલા નાગરિકોને તાત્કાલિક પગલાં લેવા માટે મંત્રીએ મહત્ત્વની સલાહ આપી. તેમણે જણાવ્યું કે છેતરપિંડી થયા પછીના થોડા કલાકો 'ગોલ્ડન સમય' જેવા હોય છે. જો આ સમયગાળામાં સાયબર ક્રાઇમ વિભાગને જાણ કરવામાં આવે, તો પૈસા પાછા મળવાની શક્યતા ઘણી વધી જાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જો તમારી સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થાય તો તાત્કાલિક સમય બગાડ્યા વિના રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર '1930' પર તરત જ સંપર્ક કરો. જાગૃતિ અને ત્વરિત કાર્યવાહી જ આ ગુનેગારોને રોકવા માટેનું સૌથી મોટું શસ્ત્ર છે.


  • Follow us on: