જૂનાગઢના કેશોદ શહેરના પીપલિયા નગર વિસ્તારમાં આવેલ ઉન્નતી પેલેસ એપાર્ટમેન્ટમાં ફ્લેટ વેચાણને લઈને છેતરપિંડી અને લેન્ડ ગ્રેબિંગનો કેસ સામે આવ્યો હતો.આ કેસમાં હેતલકુમાર નરોતમભાઈ ઠુંમરએ કુલમુખત્યાર તરીકે નુનારડા ગામની રામીબેન નંદાણીયાને ફ્લેટ વેચાણના દસ્તાવેજ કરી 10 લાખ રૂપિયાની રકમ મેળવી લીધી હતી, પરંતુ બાદમાં ફ્લેટનો કબજો ન આપતાં મહિલાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફલેટના રૂપિયા લઈ ફલેટ ના આપ્યો હોવાની વાત
ફરિયાદ બાદ ખુલ્યું કે, આ ફ્લેટ હેતલ ઠુંમરના માતા–પિતા નરોતમભાઈ અને વનિતાબેન ઠુંમરના નામે આવેલી ઉન્નતી પેલેસ ઈમારતનો ભાગ હતો, અને આરોપીએ માલિકી હક ન હોવા છતાં ખોટી રીતે વેચાણ સટાખત કરી હતી. આ ગુનાની નોંધ 7 ઓક્ટોબર, 2025ના રોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ ઍક્ટ હેઠળ કરવામાં આવી હતી. આરોપી ત્યારથી નાસતો ફરતો હતો, પરંતુ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી,અને ટીમે સરથાણા વિસ્તારમાં આવેલ સાવલિયા સર્કલ નજીકથી હેતલ ઠુંમરને ઝડપી પાડ્યો. ધરપકડ બાદ આરોપીને કેશોદ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે, જ્યાં વધુ તપાસ ચાલુ છે.













