જૂનાગઢમાં ખાતર ખેડૂતોને વેચી મંડળીમાં નાણા જમા ન કરાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મંડળીના પ્રમુખ અને મંત્રીએ ચેકથી નાણાં ઉપાડ્યા છે અને અંગત હિત માટે રૂપિયા વાપરી બિલ રજૂ ન કર્યું હોવાની વાત સામે આવી છે, ખરીદ વેચાણ સંઘના મેનેજરે નોંધાવી હતી ફરિયાદ.


વંથલી તાલુકામાં ખાતર કૌભાંડ સામે આવ્યું છે

જેમાં પોલીસ ફરિયાદ નોંધાતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વંથલી તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લિમિટેડ દ્વારા ઝાપોદળ સહકારી સેવા મંડળીને રાસાયણિક ખાતર, બિયારણો અને અન્ય જરૂરી વસ્તુઓની આપ-લે કરવામાં આવતી હતી. નિયમ મુજબ, ઝાપોદળ સેવા સહકારી મંડળીએ આ વ્યવહારો પેટે વંથલી સંઘને ₹29 લાખ જેટલી રકમ ચૂકવવાની બાકી હતી, જોકે, જ્યારે આ બાબતે સરકારી ઓડિટ કરવામાં આવ્યું, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી. ઓડિટમાં ખુલાસો થયો કે ઝાપોદળ સેવા સહકારી મંડળી દ્વારા કુલ ₹31,06,129ની રકમની નાણાકીય ઉચાપત કરવામાં આવી છે.

જે રકમ વંથલી તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘને ચૂકવવાની હતી

તે રકમ ઝાપોદળ સેવા સહકારી મંડળીના પ્રમુખ મનસુખ પાડલિયા અને અન્ય એક વ્યક્તિ કેશવ જયસવાલ દ્વારા પોતાના અંગત ઉપયોગ માટે વાપરવામાં આવી હતી, પ્રાથમિક તપાસ અને આરોપીઓના બેંક સ્ટેટમેન્ટ પરથી જાણવા મળ્યું છે કે આ લોકોએ સંસ્થાની રકમ પૈકી આશરે ₹19 લાખ 45 હજાર જેટલી રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી, નાણાકીય કૌભાંડ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન આચરવામાં આવ્યું હતું. આ ગુનાના સંદર્ભમાં ​પ્રમુખ મનસુખભાઈ પાડલિયાની અટકાયત કરવામાં આવી છે અને તેમના બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે, બીજા આરોપી કેશવ જયસ્વાલને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને હાલ તે ફરાર હોવાથી પોલીસ તેને શોધવા અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. ​આમ, પોલીસે બેંક સ્ટેટમેન્ટના આધારે ઉચાપતની રકમની પુષ્ટિ કરી છે અને હવે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.


  • Follow us on: