જૂનાગઢના ભવનાથમાં મહા શિવરાત્રીના દિવસે ભગવા કપડાં પહેરીના નાગા સાધુઓ વચ્ચે જઈને ડૂબકી મારનાર કીર્તિ પટેલ સામે કાયદાનો ગાળિયો કસાયો છે. કીર્તિ પટેલ સામે સાત દિવસમાં ત્રણ ફરિયાદો નોંધાતા પોલીસ એક્શનમાં આવી હતી. તેને રાજસ્થાનથી પકડીને જૂનાગઢ લાવવામાં આવી છે. પોલીસે મીડિયાને જોઈને ગાડી ભગાવી મુકી હતી. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે સમગ્ર કેસને લઈને નિવેદન આપ્યું હતું.
પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવશે
કીર્તી પટેલની ધરપકડને લઈને ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે કહ્યું હતું કે, કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં ત્રણ ફરિયાદો નોંધાઈ છે. પોલીસે તેની રાજસ્થાનથી ધરપકડ કરી છે. કોર્ટમાં રજૂ કરીને તેના પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવશે. હજુ ચાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. 20 લાખની ખંડણી માગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અફઝલ સીડા નામના વ્યક્તિ પાસે તેણે ખંડણી માગી હતી અને ત્યાર બાદ આ વ્યક્તિએ કીર્તિ પટેલ સામે ગંભીર આક્ષેપ કરીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.













