રાજકોટના જેતપુરમાં નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી વોર્ડ નંબર 1માંથી ઉમેદવારી નોંધાવનાર 23 વર્ષીય નંદની બોસમીયાનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે.વાવડી વિસ્તારમાં આવેલી આગમન રેસિડેન્સીમાં નંદનીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે.આ ઘટના બાદ નંદનીના પરિવારજનોએ તેની હત્યા થઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.


જૂનાગઢના અસલમ સમા સાથે મૈત્રી કરારમાં રહેતી

મૂળ જેતપુરના નવાગઢ વિસ્તારની રહેવાસી નંદની બોસમીયા જૂનાગઢ ખાતે એમ.આર.તરીકે નોકરી કરતી હતી.તે દરમિયાન તેનો સંપર્ક જૂનાગઢના અસલમ સમા સાથે થયો હતો.પરિવારના આક્ષેપ મુજબ પરણિત હોવા છતાં અસલમે નંદનીને પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં બંનેએ મૈત્રી કરાર કર્યા હતા.અગાઉ જૂનાગઢમાં રહેતા આ યુગલને લઈને અનેક વિવાદો પણ સામે આવ્યા હતા.આશરે ચાર મહિના પૂર્વે અસલમની પત્નીએ નંદનીને ઢોર માર માર્યો હતો.જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.અસલમનો પરિવાર નંદનીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાથી તે ત્રાસમાંથી બચવા માટે નંદની અસલમ સાથે રાજકોટ સ્થાયી થઈ ગઈ હતી.

ફોરેન્સિક PM રિપોર્ટ બાદ હત્યા કે આપઘાત ખુલશે

નંદનીના મૃત્યુના સમાચાર મળતા જ તેના પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.પરિવારનું માનવું છે કે નંદની આત્મહત્યા કરી શકે જ નહીં.પરિવારજનોએ સીધો આક્ષેપ કર્યો છે કે નંદનીની હત્યા કરવામાં આવી છે અને તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. નંદનીએ ફેબ્રુઆરી મહિનામાં જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય સક્રિયતા દર્શાવી હતી જેના કારણે તેના મૃત્યુના સમાચારથી જેતપુરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે આઘાત ફેલાયો છે.ઘટનાની જાણ થતા જ રાજકોટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે અને તે મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. 

આ પણ વાંચોઃ Gujarat News: 7 વર્ષની સજા બાદ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચી શકશે? જાણો શું કહે છે કાયદાવિદ



  • Follow us on: