ગોંડલના ચકચારભર્યા અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના રિમાન્ડ પૂરા થતાં તેમને જેલ હવાલે કરવાનો હુકમ કોર્ટે કર્યો છે. રિમાન્ડની અવધિ સમાપ્ત થતાં રાજદીપસિંહ જાડેજાને ગોંડલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ રાજદીપસિંહની વધુ પોલીસ કસ્ટડીની જરૂર ન જણાતા, તેમને જ્યુડિશિયલ કસ્ટડી (જેલ)માં મોકલવાનો આદેશ કર્યો હતો. આ હુકમને પગલે રાજદીપસિંહ જાડેજાને હવે પોલીસ સ્ટેશનમાંથી સીધા જેલના સળિયા પાછળ જવું પડશે.
રિમાન્ડ પૂરા થતાં જેલ કસ્ટડી
અમિત ખૂંટના આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાની ધરપકડ બાદ પોલીસે ઊંડી તપાસ માટે કોર્ટમાંથી તેના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે રાજદીપસિંહની સઘન પૂછપરછ કરી હતી અને કેસ સંબંધિત મહત્ત્વના પુરાવાઓ એકઠા કરવાની કોશિશ કરી હતી. રિમાન્ડનો સમયગાળો પૂરો થતાં પોલીસે રાજદીપસિંહને ફરી ગોંડલ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે સમગ્ર કાર્યવાહી અને તપાસની પ્રગતિને ધ્યાનમાં લઈને હવે રાજદીપસિંહને જેલ હવાલે કરવાનો નિર્ણય લીધો છે. જેલ હવાલે થવાથી હવે રાજદીપસિંહ જાડેજા કેસની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી જેલમાં રહેશે.













