રાજકોટ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરતો બનાવ સામે આવ્યો છે. શહેરના બાળ સંરક્ષણ ગૃહમાંથી એકસાથે 11 બાળકો ગાયબ થઈ જતાં ભારે ચકચાર મચી ગઈ છે.મોડી રાત્રે આ બાળકો બાળગૃહમાંથી નાસી છૂટ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે હડકંપ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે તપાસમાં એક બાળકને શોધી કાઢ્યો છે. આ અંગે રાજકોટ કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું.  


હજી ફરાર થયેલા 10 બાળકોની શોધખોળ ચાલુ

સમગ્ર ઘટનાને લઈને રાજકોટ કલેક્ટર ઓમ પ્રકાશ દ્વારા જણાવાયું હતું કે, બાળ સુરક્ષા ગૃહમાં કૂલ 54 બાળકો છે. સવારે 9 વાગ્યે આ 54માંથી 11 બાળકો ભાગ્યા હતાં. જેમાથી એક પાકિસ્તાની બાળક પરત ફર્યો છે. હજી ફરાર થયેલા 10 બાળકોની શોધખોળ ચાલુ છે. આ બાળકો પહેલાથી પ્લાનિંગ કરી ગ્રીલ તોડીને ભાગ્યા હતાં. ભાગતી વખતે રૂમનો કેમેરો પણ તોડી નાંખ્યો હતો. અહીં સાત વર્ષથી વધુ સજા હોય તેવા બાળકો રહેતા હતાં. પોલીસ બાળકોને શોધવા કામગીરી કરી રહી છે. પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી રહી છે.  

પોલીસે સીસીટીવીથી તપાસ શરૂ કરી

પોલીસ દ્વારા આ બાળકોને શોધવા માટે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને શહેરના તમામ એક્ઝિટ પોઈન્ટ્સ પર વોચ ગોઠવી દેવામાં આવી છે.આ તપાસમાં બાળ સંરક્ષણ ગૃહ અને તેની આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ સૌથી મહત્વની કડી સાબિત થઈ શકે છે.પોલીસ હાલ આ ફૂટેજ ખૂબ જ બારીકાઈથી ચકાસી રહી છે જેથી બાળકો કઈ તરફ ગયા છે તેની ચોક્કસ દિશા જાણી શકાય.આટલી મોટી સંખ્યામાં બાળકો કેવી રીતે અને કોની બેદરકારીથી સંસ્થાની બહાર નીકળી ગયા તે દિશામાં પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂછપરછ અને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Surendranagar News: વલભીપુર કેનાલમાં ન્હાવા પડેલા શ્રમિકનું મોત, પિતાએ બંને દીકરા પાણીમાં ગુમાવ્યા



  • Follow us on: