રાજકોટ ખાતે સાંસદ પરસોતમ રૂપાલા અને કૃષિમંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની સફળતા તેમજ વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવા માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને નેતાઓએ વડાપ્રધાન મોદીની વૈશ્વિક નેતા તરીકેની છબી અને દેશમાં આવેલા પરિવર્તનોની સરાહના કરી હતી.
મુખ્યમંત્રી કાળથી જ ઘડાયું હતું PMનું નેતૃત્વ: રૂપાલા
પત્રકાર પરિષદમાં સંબોધન કરતા રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ અને તેમની કામ કરવાની આગવી શૈલી તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન જ ઘડાઈ ચૂકી હતી. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન મોદીએ સત્તા સંભાળ્યા બાદ દેશના સર્વાંગી વિકાસ માટે મહત્વની 100 જેટલી અલગ-અલગ યોજનાઓ ચિહ્નિત કરી હતી. આ ખૂબ જ આનંદની વાત છે કે, તેમાંથી અંદાજે 90 યોજનાઓ આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે અને દેશના છેવાડાના માનવી સુધી તેનો લાભ પહોંચ્યો છે. ખાસ કરીને પાણી પુરવઠા અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે વડાપ્રધાને દેશમાં ઘણું મોટું ભગીરથ કાર્ય કર્યું છે.













