વડોદરામાં ખાનગી કંપનીના અધિકારી સાથે 25 લાખની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સોરાઈસીસની સારવાર કરાવવાના બહાને આ છેતરપિંડી કરાઇ હોવાનું સામે આવ્યુ છે. એક સરખી બીમારી હોવાનું કહીને સારવાર કરવા જણાવ્યુ હતુ. અને દંપત્તિએ તબીબ પાસે જઇને બીમારી વિશે જણાવ્યુ હતુ. તબીબે વિવિધ સારવાર સાથે દવાઓ પણ આપી હતી. અને સાથે જ અન્ય મોંઘી દવાઓ પણ મંગાવવામાં આવી હતી.


બીમારીના નામે કરાઇ ઠગાઇ

વડોદરામાં ખાનગી કંપનીના અધિકારી સાથે ઠગાઇ કરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. સોરાઈસીસની સારવારના બહાને 25 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. ડો. વારસી બીમારી દૂર કરશે તેવુ કહીને દંપતિને છેતરવામાં આવ્યા છે. સારવાર કર્યા છતા કોઇ પણ ફરક ન પડતા દર્દીએ ફરિયાદ કરી હતી. અને યુનાની દવા સહિત અલગ અલગ ખર્ચના નામે ઠગાઇ કરી હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અધિકારીઓએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. અને ડો.વારસીના બે સાગરીતોને ઝડપી પાડ્યા હતો. સાગરિતોમાં સાબિર હુસૈન અને આસિફ શેખની ધરપકડ કરવામાં આવી છે.

શું હતો સમગ્ર મામલો ?

અધિકારીની પત્નીને રસ્તા પર રાજુ નામનો શખ્સ મળ્યો હતો. તેમના પતિ જેવી જ બીમારી પોતાને હોવાની વાત કરી હતી. ડો. વારસીએ બીમારી દૂર કરી હોવાનું તેણે જણાવ્યુ હતુ. અને પતિ પત્નીએ ડો. વારસીનો સંપર્ક કર્યો હતો. ડો. વારસીએ ફૂંકણીથી પિત્ત કાઢી તેમાંથી જીવડાં કાઢી બતાવ્યા હતા. તે બાદ દંપત્તિનો તબીબ માટે વિશ્વાસ મજબૂત થયો હતો. બાદમાં તબીબે વિવિધ બહાનાથી 25 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું કહ્યુ હતુ. છતાં પણ બીમારીમાં કોઈ ફર્ક ન પડ્યો હતો. નાગરવાડાની યુનાની દવા વેચતી દુકાનમાંથી 5 લાખ રુપિયાની દવા પણ મંગાવી હતી. આખરે ડો. વારસીએ છેતર્યા હોવાનું માલુમ પડતા દંપત્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ડો. વારસીના સાગરીત સાબિર હુસૈન અને આસિફ શેખની ધરપકડ કરી હતી. અને આગામી કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યુ હતુ. 

  • Follow us on: