દાહોદ શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના મુખ્ય માર્ગો પૈકીના એક એવા મુવાલીયા ચોકડી પાસે ભારે જળભરાવ થતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે. જેના કારણે સ્થાનિકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે.


મુવાલીયા ચોકડી પાસે ભરાયા વરસાદી પાણી

આજે વહેલી સવારથી દાહોદમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. અવિરત વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને મુવાલીયા ચોકડી પાસે પાણીનો ભરાવો એટલો બધો હતો કે રસ્તો તળાવમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગતું હતું. આ વિસ્તારમાં પાણી કમર સુધી ભરાઈ જતાં નાના વાહનો જેવા કે બાઇક અને રીક્ષાચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી.

આ સમસ્યાનો વહેલી તકે નિકાલ કરવા સ્થાનિકોની માંગ

કેટલાક વાહનો તો પાણીમાં બંધ પડી જતાં તેમને ધક્કો મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી. મુવાલીયા ચોકડી પાસે પાણી ભરાવાની આ સમસ્યા કોઈ નવી નથી. છેલ્લા ઘણા વર્ષોથી દર ચોમાસામાં અહીં આવી જ પરિસ્થિતિ સર્જાતી હોય છે. નબળી ગટર વ્યવસ્થા અને પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ આ સમસ્યાનું મુખ્ય કારણ છે. લોકોના વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.


  • Follow us on: