ધોરાજી પોલીસ મથકમાં દારૂના કેસમાં પકડાયેલા એક આરોપીએ મચાવયો આતંક. આતંક મચાવતા તણે લોકઅપમાં આગ લગાડવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનાએ પોલીસની કામગીરી અને લોકઅપની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા હતા. આ ઘટના ધોરાજી પોલીસ સ્ટેશનમાં બની હતી. જ્યાં પોલીસ દ્વારા દારૂ પીવાના ગુનામાં પંકજ ઉર્ફે લાલુ સુરેશભાઈ ચૌધરી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.


આરોપીએ લોકઅપમાં ગોદડાને માચીસ વડે સળગાવ્યું

તેને લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. આ આરોપીએ અચાનક લોકઅપમાં રહેલા ગોદડાને માચીસ વડે સળગાવી દીધું હતું. જેના કારણે લોકઅપમાં દેકારો મચી ગયો હતો. આ મામલે ધોરાજી પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ શિલ્પાબેન દિનેશકુમાર રાણવાએ સરકાર તરફથી આરોપી પંકજ ઉર્ફે લાલુ ચૌધરી સામે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીએ પોલીસ સ્ટેશનને આગ લગાડીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત તેણે પોતાની અને ત્યાં હાજર અન્ય લોકોની જીંદગી જોખમમાં મુકાય તેવા ઈરાદાથી આ કૃત્ય કર્યું હતું.

પોલીસ તંત્રની બેદરકારી પર ઉઠ્યા ગંભીર સવાલો

આગ લગાડવા ઉપરાંત તેણે લોકઅપના બાથરૂમની દિવાલને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ ગંભીર ઘટનાએ ધોરાજી પોલીસ તંત્રની બેદરકારી પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા. સૌથી મોટો સવાલ એ છે કે લોકઅપમાં કોઈ પણ આરોપી પાસે માચીસ જેવું આગ લગાડવાનું સાધન ક્યાંથી આવ્યું? થોડા મહિનાઓ પહેલા પણ ધોરાજી પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનો કિસ્સો બન્યો હતો. આ બંને ઘટનાઓ પોલીસ તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે.


  • Follow us on: