Dwarka News: ભાણવડના કિલેશ્વર મહાદેવ પાસે પાણીના તેજ પ્રવાહમાં એક દંપતી તણાયું


દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલા બરડા ડુંગર વિસ્તારમાં કિલેશ્વર મહાદેવ મંદિર પાસે એક દંપતી પાણીના પ્રવાહમાં ફસાઈ ગયું હતું. જેને સ્થાનિકો અને ફોરેસ્ટ વિભાગની ટીમે બચાવી લીધું હતું. આ ઘટના મંદિરે દર્શન કરવા જતા સમયે બની હતી. આજે બપોર બાદ અચાનક ભારે વરસાદના કારણે કિલેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા રેવતી કુંડમાં પાણીનો પ્રવાહ એકાએક વધી ગયો હતો. આ સમયે ત્રણ લોકો મંદિર તરફ જઈ રહ્યા હતા.

અચાનક પાણીનો પ્રવાહ વધતા રેવતી કુંડમાં દંપતી ફસાયું

ત્યારે તેમાંથી એક દંપતી પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયું હતું. સદનસીબે દંપતીએ સમયસૂચકતા વાપરી અને નજીકમાં રહેલી લોખંડની રેલિંગને પકડી લીધી હતી. પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેઓ રેલિંગને પકડીને ત્યાં જ બેસી રહ્યા હતા અને મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો અને ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેઓએ તરત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

સ્થાનકો અને ફોરેસ્ટ વિભાગે દંપતીનું કર્યું રેસ્ક્યુ

ભારે જહેમત બાદ દંપતીને પાણીના પ્રવાહમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ ઘટનાએ ફરી એકવાર ચોમાસામાં નદી-નાળા અને કોઝવે જેવી જગ્યાઓ પર સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તંત્ર દ્વારા આવા વિસ્તારોમાં સાવચેતીના બોર્ડ લગાવવા અને લોકોને આવા સ્થળોએ ન જવા માટે જાગૃત કરવા જરૂરી છે.


  • Follow us on: