બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી જુગાર રમતા 6 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ ઘટનાથી ભક્તો અને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે જુગારીઓ પાસેથી રૂપિયા 1.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાં રોકડા રૂપિયા અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. ગઢડા પોલીસને બાતમી મળી હતી કે જૂના સ્વામિનારાયણ મંદિરના ઉતારા વિભાગના પાંચમા માળે આવેલા રૂમ નંબર 509માં જુગાર રમાઈ રહ્યો છે.


મંદિરના ઉતારા વિભાગના પાંચમા માળે ચાલતો હતો જુગાર

આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. પોલીસે રૂમમાં રેડ કરતા ત્યાં 6 શખ્સો પૈસાની હાર-જીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ જુગારધામ રૂમ નંબર 509માં રહેતા હરિકૃષ્ણ ગભરુભાઈ વાઘ ઉર્ફે પાર્ષદ હરિકૃષ્ણ ગુરુ છત્રભુજદાસજી સ્વામી ચલાવતા હતા. પોલીસે જુગાર રમતા હરિકૃષ્ણ વાઘ, જીગ્નેશ કાવઠીયા, રાજેશ સાવલીયા, લાલજી વાઘેલા, પરેશ જોગાણી અને કેવલ કાવઠીયાની ધરપકડ કરી હતી.

પોલીસે તમામ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો

પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 1,10,850 અને 8 મોબાઈલ ફોન મળીને કુલ 1.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ધાર્મિક સ્થળે જુગારધામ ચાલતું હોવાનું બહાર આવતા લોકોમાં આશ્ચર્ય અને રોષની લાગણી ફેલાઈ છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારમાં લાગતી  કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Follow us on: