ગુજરાત રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે ટૂંક સમયમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થવાની પ્રબળ સંભાવના છે. દિલ્હીમાં હાઈકમાન્ડ સાથેની મહત્ત્વપૂર્ણ બેઠકો બાદ આ ફેરફારને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક મંત્રીઓના પર્ફોર્મન્સ અને આગામી સ્થાનિક સ્વરાજ્ય તેમજ વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. વિસ્તરણ દરમિયાન 6 થી 7 જેટલા વર્તમાન મંત્રીઓને પડતા મુકવામાં આવી શકે છે, જેઓનું પર્ફોર્મન્સ અપેક્ષા મુજબનું રહ્યું નથી. જોકે, નવા મંત્રીમંડળમાં કુલ મંત્રીઓની સંખ્યા વધારીને 20 થી 26 સુધી પહોંચાડવામાં આવી શકે છે, જેનાથી કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકાશે.
જ્ઞાતિ સમીકરણો અને પ્રાદેશિક સંતુલન પર ભાર
નવા મંત્રીમંડળની રચનામાં જ્ઞાતિ સમીકરણો અને ઝોન વાઇઝ પસંદગી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આગામી ચૂંટણીઓમાં તમામ જ્ઞાતિઓ અને પ્રદેશોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે આ કવાયત હાથ ધરાઈ છે. આ ફેરબદલમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાંથી સૌથી વધુ નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળવાની સંભાવના છે, જે આ ઝોનના રાજકીય મહત્ત્વને દર્શાવે છે. બીજી તરફ, મધ્ય ગુજરાતમાંથી 3-4 મંત્રીઓ બનાવવામાં આવી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાંથી 2-3 ધારાસભ્યોની લોટરી લાગી શકે છે.













