ગાંધીનગર બે નિર્દોષ લોકોનો ભોગ લેનાર હિટ એન્ડ રન કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અકસ્માત સર્જનાર હિતેશ પટેલની પ્રાથમિક મેડિકલ તપાસમાં તેણે નશો ન કર્યો હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ, ઘટનાસ્થળેથી મળેલી માહિતી અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે હિતેશ પટેલે નશાની હાલતમાં કાર હંકારી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ પ્રાથમિક મેડિકલ રિપોર્ટ તેનાથી વિપરીત સંકેત આપે છે.


બ્લડ સેમ્પલ તપાસ માટે FSL માં મોકલાશે

જોકે, પોલીસે આ મામલે સંતોષ ન માનતા વધુ તપાસ માટે બ્લડ સેમ્પલ લેવાની પર્ક્રિયા હાથ ધરી છે. આ બ્લડ સેમ્પલને વધુ વિષ્લેષણ માટે ફોરેન્સિક સાયંસ લેબોરેટરી (FSL) માં મોકલવામાં આવશે. FSL રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે અકસ્માત સમયે હિતેશ પટેલની સ્થિતિ શું હતી. આ ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસ વડા સાથે વાતચીત કરી છે અને તપાસના આદેશ આપ્યા છે. આ સિવાય તેમણે હોસ્પિટલમાં પીડિતોની ખબર અંતર પણ પૂછી હતી અને કોઈપણ તકલીફ ન પડે તે માટે આદેશ આપ્યા હતા.

હિતેશ પટેલ અકસ્માત કરતા 2 નિર્દોષનો જીવ ગયો

તમને જણાવી દઈએ કે, આ ઘટનામાં બે નિર્દોષ લોકોનો જીવ ગયો છે અને અનેક વાહનોને નુકસાન થયું છે. હિતેશ પટેલ સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાથી, આ મામલે પોલીસ વધુ ઝીણવટભરી તપાસ કરી રહી છે. પ્રાથમિક રિપોર્ટ ભલે નશો ન હોવાનું સૂચવે પરંતુ FSL રિપોર્ટ આવ્યા બાદ જ આ કેસમાં નવો વળાંક આવી શકે છે અને સત્ય બહાર આવી શકે છે. પીડિત પરિવારો અને જાહેર જનતા ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે.


  • Follow us on: