ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે એક સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર આગામી સમયમાં વર્ગ-1 અને વર્ગ-2 ની ભરતી પ્રક્રિયામાં આમૂલ અને ઐતિહાસિક બદલાવ લાવવાની તડામાર તૈયારી કરી રહી છે. સંદેશ ન્યૂઝના હાથ લાગેલા સરકારના એક અત્યંત ખાનગી પત્ર વ્યવહારમાંથી આ ચોંકાવનારી અને રોજગારલક્ષી માહિતી લીક થઈ છે.


હવે 'અનુભવની ફરજિયાત જોગવાઈ' નાબૂદ કરવાની દરખાસ્ત 

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તમામ એડિશનલ ચીફ સેક્રેટરીને આ વહીવટી સુધારા અંગે એક મહત્વનો પત્ર મોકલવામાં આવ્યો છે. આ પ્રસ્તાવિત સુધારા અંતર્ગત સૌથી મોટો ફેરફાર એ છે કે, ઉચ્ચ વહીવટી ભરતીઓમાંથી હવે 'અનુભવની ફરજિયાત જોગવાઈ' નાબૂદ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. એટલે કે, હવે કોઈપણ શાખાના સ્નાતક ઉમેદવાર આ પરીક્ષામાં સીધા જ ભાગ લઈ શકશે, જેથી ફ્રેશર્સ અને યુવાનો માટે સરકારી ક્ષેત્રે સીધી તકો ખુલશે.

ખાલી પડેલી જગ્યાઓ ખૂબ જ ઝડપથી ભરી શકાશે

આ ઉપરાંત,ગુજરાત જાહેર સેવા આયોગની સંયુક્ત પરીક્ષામાં બંને સંવર્ગની ભરતીનો સમાવેશ કરવાની પણ વિચારણા ચાલી રહી છે. પત્રમાં દર્શાવેલા તર્ક અનુસાર, આ બદલાવથી ભરતી કરનારી સંસ્થાઓનું કામનું ભારણ ઘટશે, ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક અને નિયમિત બનશે, તેમજ સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ખૂબ જ ઝડપથી ભરી શકાશે.

સ્પર્ધાત્મક પરીક્ષાના માળખામાં નવો વળાંક 

GAD દ્વારા આ સમગ્ર બાબતે GPSC ને પત્ર મોકલીને સત્તાવાર રીતે માહિતગાર કરી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ આ નવા શાસન નિયમો પર અંતિમ મહોર વાગી શકે છે, જેનાથી ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાના માળખામાં નવો વળાંક આવશે.


આ પણ વાંચો----    Venezuela Earthquake : ભયાનક ભૂકંપના 5 Video, આંખના પલકારામાં ગગનચુંબી ઇમારતો જમીનદોસ્ત, ચારેય તરફ માત્ર ચીસાચીસ



  • Follow us on: